વડોદરા નજીક સાંકરદા ગામે આયુર્વેદિક દવાખાનામાં ઘુસી ગયેલ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરતા ગુનો દાખલ
વડોદરાઃ સાંકરદાના સરકારી આયુર્વેદિક દવાખાનામાં તોડફોડનો બનાવ બનતાં નંદેસરી પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત વડોદરા પાસેના સાંકરદા ગામના આયુર્વેદિક દવાખાનામાં ફરજ બજાવતા ડો.શિવાની પંડયાએ પોલીસને જણાવ્યું છે કે,તા.૨૭મીએ હું રજા પર હતી તે દરમિયાન દવાખાનામાં ઘૂસી ગયેલા કોઇ શખ્સે તોડફોડ કરી હતી.
આ બનાવ અંગે સેવિકા જ્યોત્સનાબેને મને જાણ કરી હતી.જેથી તપાસ કરતાં દવાખાનાનો દરવાજો, કોમ્પ્યુટર, વજન કાંટો, બીપીનું મશીન,દવાઓ અને કેસપેપર જેવી ચીજોની તોડફોડ થયાનું જણાઇ આવ્યું હતું.પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ,અગાઉ પણ આ જ રીતે તોડફોડનો પ્રયાસ થયો હતો પરંતુ કોણે તોડફોડ કરી તે જાણવા મળ્યું નહતું.જેથી કોઇ વિધ્નસંતોષીનો હાથ છે કે પછી ચોરીનો પ્રયાસ થયો હતો ? તે તપાસનો વિષય છે.