ગુજરાત
News of Friday, 31st March 2023

ગોધરામાં મકાનનો પાયો ખોદતી વેળાએ માટી ધસી પડતા એક શ્રમિકનું મૃત્યુ

ગોધરા: ગોધરામાં મકાનના પાયા ખોદતી વખતે માટી ધસતાં ઊંડો ખાડો પડતાં શ્રમિકો દટાઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં ગોધરા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને માટીમાં દબાઈ ગયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગોધરા ફાયર બિગેડ દ્વારા 12 ફૂટ ઉંડા ખાડાની માટીમાં દટાઈ ગયેલા બે શ્રમિકોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતાં. બહાર કાઢવામાં આવેલા શ્રમિકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એકની હાલત ખૂબ જ ગંભીર હોવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરાના સૈયદવાડા વિસ્તારમાં મકાનના પાયા ખોદતા દરમિયાન માટીની અંદર દબાઈ ગયેલા શ્રમિકો દાહોદ જિલ્લામાં લીમખેડા અને ગોધરા તાલુકાના મહેલોલ ગામના વતની હોવાની વિગતો સામે આવી છે.  ફાયર વિભાગે જણાવ્યું કે, આજે સવારે 10થી 10:30 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને જાણ થઈ હતી કે ગોધરાના સૈયદવાડા વિસ્તારમાં એક મકાનના પાયાના ખોદકામ દરમિયાન ત્રણ જેટલા શ્રમિકો 12 ફૂટ ઊંડા ખાડામાં દટાયા છે. 

(6:40 pm IST)