સુરતમાં દુકાન-મકાન અપાવવાના નામે વેડ ગામના લોકો સાથે ઠગાઈ આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ
સુરત, : સુરતના નાની વેડ ગામમાં રહેતા શાકભાજીના વેપારી સહિત 11 વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામમાં જ દુકાન અને મકાન અપાવવાની લાલચ આપી રૂ.11.65 લાખ લીધા બાદ દુકાન કે મકાન નહીં આપી અને પૈસા પણ પરત નહીં કરી ઠગાઈ કરનાર અઠવાલાઈન્સ જીલ્લા સેવા સદનમાં ઉભી રહી ટાઉટ તરીકે કામ કરતી રાંદેરની મહિલાની સિંગણપોર પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમદાવાદના દસકોઈના કમોડ ગામના વતની અને સુરતમાં નાની વેડ નીચલી વાડીની પાછળ રહેતા 35 વર્ષીય પરષોતમભાઇ અમરસિંહ કુવરીયા કતારગામ આંબાતલાવડી રોડ પર શાકભાજીની લારી રાખી વેચાણ કરે છે.ત્રણ વર્ષ અગાઉ નાની વેડ કેશવ પાર્ક પાર્ટી પ્લોટ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુમન સારથી આવાસનું આયોજન થતા તે અને મહોલ્લાના અન્ય નવ રહેવાસી અઠવાલાઈન્સ જીલ્લા સેવા સદનમાં આવાસના ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને દાખલા કઢાવવા ગયા હતા.ત્યારે ત્યાં ટાઉટ તરીકે ઉભી રહેતી સાયરાબાનુ સિદ્દીક જરદોષ ( ઉ.વ.42, રહે.09/21, આંબલીપુરા, રાંદેર ગામ, કોઝવે પાસે, સુરત )એ મારી મહાનગરપાલિકામાં અધિકારીઓ સાથે બહુ મોટી ઓળખાણ છે, તમને તમારા ગામમાં જ આવાસ અને દુકાન અપાવીશ તેમ વાત કરી તમામના મોબાઈલ નંબર અને સરનામાં લીધા હતા.