સુરતમાં ચરસના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીના જામીનની અરજી રદ કરવામાં આવી
સુરત:શહેરમાં નાર્કોટીક્સ એક્ટના ભંગના ગુનામાં કડોદરા જીઆઈડીસી પોલીસે જેલભેગા કરેલા આરોપી ની જામીનની માંગને નાર્કોટીક્સ કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ કૃત્તિ સંજય ત્રિવેદીએ નકારી કાઢી હતી. કડોદરા જીઆઈડીસી પોલીસે ગઈ તા.31-12-2022ના રોજ આરોપી શંકરરામ મોહનરામ સુથાર(રે.સીટીપોઈન્ટ એપાર્ટમેન્ટ,બાબેન બારડોલી)ને 112.73 ગ્રામ ચરસના ગેરકાયદે જથ્થાની હેરાફેરી કરતાં ઝડપી નાર્કોટીક્સ એક્ટના ભંગ બદલ જેલભેગો કર્યો હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપી શંકર રામ સુથારે જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપીને નાર્કોટીક્સ સબસ્ટેન્સીસની કોઈ જાણકારી નથી.આરોપી કોઈ મુદ્દામાલ સાથે સંકળાયેલા નથી.પોલીસે ગુનામાં ખોટી સંડોવણી કરી છે.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યુ હતું કે હાલમાં તપાસ નાજુક તબક્કામાં છે.જેથી આરોપીને જામીન આપવાથી પોલીસ તપાસ તથા સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી પાસેથી ઈન્ટર મીડીએટ ક્વોન્ટીટીનો ચરસનો જથ્થો મળી આવ્યો હોઈ આરોપીના જામીનની માંગને નકારી કાઢી હતી.