ગુજરાત
News of Friday, 31st March 2023

નડિયાદ નજીક બે બાઈક સામસામે અથડાતા એકનું ગંભીર ઇજાથી મૃત્યુ

નડિયાદ: નડિયાદ ચકલાસી ભાગોળ ફતેપુરા રોડ પર બે બાઈક સામસામે ટકરાતા એક બાઈક ચાલકનું ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે નડિયાદ શહેર પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ વાણીયાવડ કિસાન સમોસા સામે આવેલ એલ બી એવન્યુ બોરકુવા પાસે લાલાભાઇ રમણભાઈ તળપદા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. તેમના સમાજમાં અલગ અલગ જગ્યાએ માતાજીના માંડવાના પ્રસંગ હોય રમણભાઈ તથા તેમનો દીકરો સુરેશ (ઉં.વ.૨૦) તેનું બાઈક લઇ રાત્રિના બોરડી વિસ્તાર ચકલાસી ભાગોળ માતાજીના દર્શન કરવા જાઉં છું તેમ કહી બાઈક લઇ ઘરેથી નીકળ્યો હતો.  દરમિયાન થોડીવારમાં રમણભાઈના મિત્ર નો ફોન આવેલ કે ચકલાસી ભાગોળ ફતેપુરા રોડ ઉપર તેનું બાઈક શુભમ સોસાયટી પાસે સામેથી આવતી બાઇકને ટક્કર મારી એકસીડન્ટ કરેલ તેવી જાણ કરતા રમણભાઈ તાત્કાલિક ઘટના સ્થળે જવા નીકળ્યા હતા. સુરેશને માથામાં કપાળના ભાગે વાગ્યું હતું. જ્યારે સુરેશભાઈની બાઈકને આગળના ભાગે નુકસાન થયું હતું. ટક્કર વાઘેલ બાઈક ચાલક રાકેશભાઈ રમણભાઈ તળપદા (રહે, કમળા ચોકડી) ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે પાછળ બેઠેલ તરુણ ને પણ વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. દરમિયાન ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે આવી જઈ તપાસ કરતા બંને યુવકોના મૃત્યુ નીપજયા હોવાનું જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે રમણભાઈ તળપદા ની ફરિયાદના આધારે શહેર પોલીસે રાકેશ તળપદા વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:52 pm IST)