કાલથી શામળાજી મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે
શામળાજી મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો : અગાઉ રાજ્યમાં કોરોનાના કેસ વધતા કોવિડ ગાઇડલાઇન મુજબ તમામ મોટા મંદિરો બંધ કરી દેવામાં આવ્યા હતા
અરવલ્લી,તા.૩૧ : અરવલ્લી જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના ભક્તો માટે ખુશખબર આવ્યા છે. કોરોના કહેરના કારણે રાજ્યમાં જ્યારે તમામ મોટા મંદિરોમાં ભક્તો માટે દર્શન બંધ છે ત્યારે હવે ભક્તોની આતુરતાનો અંત આવી ગયો છે. મંદિરને ભક્તો માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ભક્તો ફરીથી ભગવાન શામળાજીના દર્શનનો લ્હાવો લઈ શકશે.
મંદિરને પ્રસાશન દ્વારા ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ ઘટી જતા હવે આગામી ૧ જૂનથી શામળાજી મંદિરના દર્શન પૂનઃ કાર્યરત થઈ જશે.
અગાઉ રાજ્યમાં કોરોનાના કેસ વધતા કોવિડ ગાઇડલાઇન મુજબ તમામ મોટા મંદિરો બંધ કરી દેવામાં આવ્યા હતા. મંદિરોમાં ફક્ત પૂજા કાર્ય જ કરવામાં આવતું હતું ત્યારે યાત્રાધામ અરવલ્લીના દ્વારા ફરી ભક્તો માટે ખુલશે. મંદિરમાં એકથી દોઢ મહિનાનો સમય ફક્ત પૂજારીને જ પ્રવેશ હતો અને પૂજા વિધિ થતી હતી.
હોળી બાદ કોરોનાના કેસ વધતા સરકારે ધીરે ધીરે પ્રતિબંધો મૂકવાની શરૂઆત કરી હતી જેમાં અંતે તમામ મંદિરો સાથે જાહેર સ્થળોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, બીજી બાજુ શક્તિપીઠ પાવાગઢને અગાઉ ૩૧મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, મધ્યગુજરાત અને પંચમમહાલ જિલ્લાના સૌથી મોટા શક્તિપીઠ પાવાગઢ જવા માઈ ભક્તોએ હજુ પણ જોવી પડશે રાહ.
આગામી ૧-જૂનથી લઈને ૧૦મી જૂન સુધી મંદિર બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ભગવાન દ્વારકાધીશના દ્વાર ઉઘડે એ પહેલાં ધ્વજારોહણ માટે મર્યાદિત સંખ્યામાં ભક્તોને છૂટ આપવામાં આવી હતી. જોકે, હવે કોરાના વાયરસનું સંક્રમણ ઓછું થતા આ સંખ્યાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
અગાઉ આ સંખ્યા કોરોનાના કહેરના કારણે ખૂબ જ મર્યાદિત રાખવામા આવી હતી પરંતુ આજથી ધ્વજા ચઢાવવા માંગતા ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે પછી કોરોના ગાઇડલાઇનનું પાલન કરતાં ૨૫ ભક્તો એકસાથે ધ્વજારોહણના કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. જગતમંદિર ધ્વજા ચઢાવવાનું અનેરૃં મહત્ત્વ હોય છે ત્યારે આ સમાચારથી ભક્તોમાં ખુશીનો માહોલ છે.