ગુજરાત
News of Monday, 31st August 2020

આવકવેરા પ્રણાલીમાં ઐતિહાસિક પરિવર્તન : માનવસંપર્ક રહિત આકારણી પ્રથાનો પ્રારંભ

પ્રથાના સુચારૂ અમલ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ : કરદાતાઓની મુશ્કેલીઓનો અંત આવશે : પ્રિન્સીપાલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્ષ સુશ્રી છાવી અનુપમઃ વેબીનારમાં ડો. ધીરજ કાકડીયાએ ઇમેઇલ-વિડીયો કોન્ફરન્સિંગ, મોબાઇલ એપ, ડોકયુમેન્ટેશન, અપલોડીંગ ઓન પોર્ટલની વિસ્તૃત સમજ આપીઃ રાજ ટંડન, ભવ્ય પોપટ, મેહુલ રાણપુરા, કલ્પેશ રૂપારેલીયા, રણજીત લાલચંદાણીએ નવી આકારણી પ્રણાલી વિષે વેબીનારમાં વિસ્તૃત છણાવટ કરીઃ સમગ્ર વેબીનારનું સંચાલન જુનાગઢના દેવેન્દ્ર ત્રિવેદીએ સફળતાપૂર્વક સંભાળ્યું

રાજકોટ તા. ૩૧ : રાજયના પ્રિન્સીપાલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેકસ સુશ્રી છાવી અનુપમે જણાવ્યું છે કે, માનવ સંપર્ક રહિત કર આકારણીની અમલમાં મૂકાયેલી નવી પ્રણાલી ખૂબ ટૂંક સમયમાં કાર્યક્ષમ રીતે પરિણામો આપતી થઇ જશે.

ફેસલેસ એસસમેન્ટ ઓફ ઇન્કમ ટેકસ પર પીઆઇબી,આરઓબી તેમજ ઇન્કમ ટેકસ વિભાગ દ્વારા સંયુકત રીતે યોજાયેલા વેબીનારમાં ચાવીરૂપ વકતવ્ય આપતાં એમણે કહ્યું કે સમય, શકિત અને સંસાધનોના બચાવ માટે નવી આકારણી પ્રથા ઐતિહાસિક રીતે ક્રાંતિકારી પગલું સાબીત થશે. એક પ્રશ્નના જવાબમાં સુશ્રી છાવી અનુપમે કહ્યું કે, દૂરસુદૂરના વિસ્તારમાં રહેતાં કરદાતાઓને આવકવેરા કચેરીના ધક્કા હવે બંધ થઇ જશે અને કેટલાંક મનસ્વી અધિકારીઓ દ્વારા થતી કનડગતનો આ પ્રથાથી સંપૂર્ણ અંત આવશે.

વેબીનારમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા, પીઆઇબી અને આરઓબીના એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડિયાએ ઇલેકટ્રોનિક આકારણી એટલે શું? અને તેમાં કરદાતા અને આવકવેરા વિભાગ વચ્ચેનાં સંદેશા વ્યવહારની પધ્ધતિઓ જેવીકે ઇમેલ, વિડિયો કોન્ફરન્સિંગ, મોબાઇલ એપ, ડોકયુમેન્ટેશન અપલોડીંગ ઓન પોર્ટલ વગેરેની સમજ આપી હતી.

તારીખ ૧૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આકારણી પ્રથાનો અમલ શરૂ કરાવતી વેળાએ આપેલ વકતવ્ય વેબીનારમાં સહભાગીઓને ફરી સંભળાવવામાં આવ્યું હતું. શ્રી મોદીએ ટેકસટેરરનો અંત આવશે તેની છણાવટ આ વકતવ્યમાં કરી હતી. જુનાગઢના એડવોકેટ અને ટેકસ ટુડે ન્યુઝ પેપરના એડિટર શ્રી ભવ્ય પોપટ, રાજકોટના અગ્રણી સીએ શ્રી મેહુલ રાણપુરા, જુનાગઢના સિનિયર ટેકસ પ્રેકિટશનર શ્રી કલ્પેશ રૂપારેલીયા તેમજ રાજકોટના ટેકસ કન્સલટન્ટ શ્રી રણજીત લાલચંદાનીએ નવી આકારણી પ્રણાલી વિશે પોતાના મંતવ્યો આપવાની સાથે વિષયવસ્તુની છણાવટ કરી તેમનું વકતવ્ય આપ્યું હતું.

ઇન્કમ ટેકસ વિભાગના વરિષ્ઠ અધિકારી શ્રી રાજ ટંડને અમલમાં મૂકાયેલ નવી આકારણી પ્રથાને પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત રીતે સમજાવી હતી. ટેકસ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ આ ક્ષેત્રના વિશેષજ્ઞોએ નવી આકારણી પ્રથાના લાભોને લોકો સમક્ષ મૂકતાં જણાવ્યું કે, દેશની વિકાસયાત્રામાં સરકારનું આ એક બહું મોટું પગલું છે. કરદાતાને સન્માન અને સુરક્ષા પ્રદાન કરવાની દિશામાં લેવાયેલ પગલું આવનાર દિવસોમાં ચોક્કસથી ઐતિહાસિક સાબિત થશે.

વેબીનારના અંતમાં યોજાયેલ પ્રશ્નોત્તરી અને સંવાદના તબક્કામાં વેબીનારમાં જોડાયેલ સહભાગીઓએ પોતાના મંતવ્યો રજૂ કરવાની સાથે નવી ટેકસ પ્રણાલીને લઇને તેમના મનમાં રહેલા પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેનો ઇન્કમ ટેકસ વિભાગના અગ્રણી અધિકારી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો.

સોશ્યલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ પર આ વેબીનારનું લાઇવ ટેલીકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજય અને દેશભરમાંથી લોકો જોડાઇ શકયા હતાં અને આ નવી કર આકારણી પ્રથા વિશે સમજ સાથે માર્ગદર્શન પામી શકયા હતાં.

સમગ્ર વેબીનારનું ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ સુચારૂ રીતે સંચાલન કર્યું હતું. વિશેષજ્ઞો દ્વારા ઉંડાણપૂર્વક વિષયવસ્તુની છણાવટ સાથે આપેલ માર્ગદર્શન અને વેબીનારમાં સહભાગીઓના રસપૂર્વક ભાગ લેવાથી આ વેબીનાર સફળ રહ્યો હતો.

(10:49 am IST)