સુરતના વેપારીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી
આત્મહત્યા પહેલાં સુસાઈડ નોટ પણ લખી : સુસાઈડ નોટમાં આત્મહત્યાના કારણ અંગે સ્પષ્ટતા થઇ નથી જેથી સુરત પોલીસે મામલમાં વધુ તપાસ હાથ ધરી
સુરત,તા.૩૧ : સુરતના રાંદેર વિસ્તરમાં રહેતા અને કપડાનો વેપાર કરતા વેપારીએ આર્થિક સંકડામણ અને પારિવારિક મિલકતમાં ભાઈ સાથે વિખવાદમાં ગતરોજ પોતાની ગાડીમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ થતા પોલીસે તપાસ કરતા કાપડ વેપારીની ગાડીમાંથી ઝેરી દવાની બોટલ તેમજ સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. સુરતના રાંદેરના કાપડના વેપારીએ લોકાડાઉન બાદ આર્થિક સંકડામણ અને પારિવારિક મિલકતમાં ભાઈ સાથે વિખવાદમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. વેપારી પાસેથી પત્નીને સંબોધીને લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી હતી.
જોકે તેમાં આપઘાતના કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. રાંદેર પાલનપુર પાટીયા આવિસ્કાર રો-હાઉસ ખાતે રહેતા અને બોમ્બે માર્કેટમાં કાપડનો વેપાર કરતા જયેશભાઈ સરૈયાએ લૉકડાઉન પહેલા ભાઈ સાથે ભાગીદારી છૂટી કરી સ્વતંત્ર વેપાર શરૂ કર્યો હતો. લૉકડાઉન બાદ દુકાન બંધ હોવાથી આર્થિક સંકડામણ અનુભવતા હતા. આ દરમિયાન ભાઈ સાથે પારિવારિક મિલકત બાબતે પણ મનદુઃખ ચાલી રહ્યું હતું. સાંજે કામથી બહાર જઈ રહ્યા હોવાનું કહી તેઓ નીકળ્યા હતા. ત્યાર બાદ તેમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને તેઓ ઘરે પણ પરત ફર્યા ન હતા.
જેથી પરિવારે રાંદેર પોલીસ મથકમાં ગુમ થવાની ફરીયાદ પણ નોંધાવી હતી. શનિવારે સાંજે જહાંગીરપુરા મધુવન ફાર્મ પાસે વૃંદાવનવિલા સોસાયટી તરફ જતા રોડ પર કારમાં જયેશભાઈનો મૃતદેહ મળ્યો હતો. કારમાંથી ઝેરી દવાની બોટલ તેમજ સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે પત્નીને સંબોધીને લખ્યુ હતું કે ' હું આ જનમમાં તારી સાથે નથી રહી શકતો. મને માફ કરજે અને મારા ભાગની મિલકત તુ લઈ લે જે.લ્લ જોકે આપઘાતના કારણ અંગે સુસાઈડ નોટમાં કોઈ સ્પષ્ટતા કરી ન હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.