અમદાવાદના આસોપાલવ શો રૂમના 9 કર્મચારીઓ કોરોના પોઝીટીવ
તમામ ઝોનના વિવિધ સ્થળોએ સઘન ટેસ્ટીંગની કામગીરી કરાશે
અમદાવાદ: કોરોના સંક્રમણ રોકવા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યાં છે કોરોના ટેસ્ટિંગ માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા નહેરુબ્રીજ તથા શિવરંજની બ્રીજ પાસે આવેલા આસોપાલવ શો રૂમના કર્મચારીઓના કોરોના ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં કુલ 9 પોઝીટીવ કેસો મળી આવ્યા હતા.
આ તમામ કોરોનો પોઝીટીવ કર્મચારીઓને મેડિકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપી હતી.તેમ જ જરૂરી તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર તેમ જ કોવીડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આગામી સમયમાં પણ મોટાપાયા પર તમામ ઝોનના વિવિધ સ્થળોએ સઘન ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી રેપિડ ટેસ્ટથી માંડીને હોટલો, શો રૂમ, મલ્ટીપ્લેક્ષ, મોલ તેમ જ રેસ્ટોરન્ટ વગેરે સ્થળોએ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરીને માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સીંગ તેમ જ જાહેરમાં થુંકવા બદલના કેસો કરીને દંડ વસૂલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સીલ પણ મારવામાં આવ્યા હતા. આ કામગીરી ચાલુ છે ત્યાં વળી કોર્પોરેશને આજથી મેડિકલની અસંખ્ય ટીમો બનાવીને શહેરના સાત ઝોનમાં એક સઘન ઝુંબેશ હેઠળ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આજે શો રૂમો વગેરે સ્થળોએ પહોંચી જઇને ચકાસણીની કામગીરી હાથ ધરી હતી.આ જ રીતે બીજા વિસ્તારોમાં આવેલા શો રૂમ વગેરે સ્થળોએ પહોંચી જઇને તપાસ હાથ ધરશે.
ગુજરાતમાં કોરોના વાયરસ ના ટેસ્ટ વધતા તેના આંકડામાં ઉછાળો આવ્યો છે.રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 1280 નવા કોરોના કેસ ઉમેરાય છે.જ્યારે આ જ સમયગાળામાં 14 દર્દીઓ કોરોના સામે હારી ગયા છે.છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 66,363 કોરોના ટેસ્ટ થયા છે.રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 96 હજારને પાર જતી રહી છે.