Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કોરોના પછીના બે અઠવાડિયામાં હાર્ટ એટેક સહીત સ્ટ્રોકનું જોખમ વધુ હોવાનું એક તારણ

નવી દિલ્હી: અભ્યાસના કો-ફર્સ્ટ ઓથર અને સ્વિડનની ઉમેઆ યુનિવર્સિટીના ઓસ્વાલ્ડો ફોન્સેકા રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે, 'અમને જણાયું હતું કે, કોવિડ-૧૯ પછીના પ્રથમ બે સપ્તાહમાં હૃદયરોગ અને સ્ટ્રોકના જોખમમાં ત્રણ ગણો વધારો નોંધાયો હતો. ઉમેઆ યુનિવર્સિટીના લોનિસ કેટ્સુલારિસે જણાવ્યું હતું કે, 'પરિણામ દર્શાવે છે કે, હૃદયરોગ સંબંધી જટિલતા કોવિડ-૧૯ને કારણે ઊભી થતી મહત્વની આરોગ્યલક્ષી સમસ્યા છે.' કેટ્સુલારિસે જણાવ્યું હતું કે, 'અમારા પરિણામ દર્શાવે છે કે, કોવિડ-૧૯ સામે વેક્સિનેશન કેટલું જરૂરી છે. ખાસ કરીને હૃદયરોગનું ઊંચું જોખમ ધરાવતા વૃદ્ધોએ આ બાબતે ખાસ સંભાળ રાખવી જરૂરી છે.' રિસર્ચર્સે અભ્યાસમાં બે મહત્વની આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ધ મેચ્ડ કોહોર્ટ સ્ટડી અને સેલ્ફ-કંટ્રોલ્ડ કેસ સિરીઝ. અભ્યાસના તારણ અનુસાર 'બંને પદ્ધતિ સૂચવે છે કે, હૃદયરોગ અને ઇશેમિક સ્ટ્રોક માટે કોવિડ-૧૯ મોટું જોખમ છે. તે દર્શાવે છે કે, કોવિડ-૧૯ પછી હૃદયરોગ અને સ્ટ્રોક અંગે કાળજી રાખવી ખાસ જરૂરી છે. ઉપરાંત, આ બાબત કોવિડ-૧૯ સામે વેક્સિનેશનની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે.'

અભ્યાસમાં સ્વિડનની પબ્લિક હેલ્થ એજન્સીના નોંધણીપત્રક, સ્ટેટિસ્ટિક્સ સ્વિડન અને નેશનલ બોર્ડ ઓફ હેલ્થ એન્ડ વેલ્ફેર પાસેથી મળેલી માહિતી તમામ નોંધાયેલા કોવિડ-૧૯ના દર્દીઓ માટે ક્રોસ-લિંક કરવામાં આવી હતી. નેશનલ બોર્ડ ઓફ હેલ્થ એન્ડ વેલ્ફેરના રજિસ્ટ્રીના ડેટાનો ઉપયોગ કરીને અગાઉ હૃદયરોગ અને સ્ટ્રોકનો ભોગ બની ચૂકેલા લોકોને શોધી અભ્યાસની બહાર રાખવામાં આવ્યા હતા.

(5:53 pm IST)