Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કોવિડ હોસ્‍પિટલમાં ભીષણ આગ : ઓછામાં ઓછા ૫૦ લોકોના મોત

ઇરાકમાં અગ્નિ તાંડવ

બગદાદ,તા. ૧૩: ઈરાકની રાજધાની બગદાદની એક હોસ્‍પિટલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા ૫૦ લોકોના મોત થયાના દર્દનાક ખબર છે. કહેવાય છે કે હોસ્‍પિટલના કોરોના વોર્ડમાં આ આગ લાગી છે. જયાં વાયરસથી સંક્રમિત લોકોની સારવાર ચાલુ હતી. અકસ્‍માતમાં ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.

દક્ષિણ બગદાદની અલ હુસૈન ટિચિંગ હોસ્‍પિટલમાં આ અકસ્‍માત થયો છે. અધિકારીઓએ જણાવ્‍યું કે મોટાભાગના લોકોના મોત આગમાં દાઝી જવાથી થયા છે. આ સાથે જ જે લોકો ઈજાગ્રસ્‍ત છે તેમની પણ હાલાત ગંભીર કહેવાઈ રહી છે. હોસ્‍પિટલમાં આગનું કારણ શોર્ટ સર્કિટ કહેવાઈ રહ્યું છે. જો કે હજુ આ અકસ્‍માત પર તપાસ થવાની બાકી છે.

આરોગ્‍ય અધિકારીના જણાવ્‍યાં મુજબ ઓક્‍સિજન સિલિન્‍ડરમાં વિસ્‍ફોટને પણ આગનું કારણ ગણાવાઈ રહ્યું છે. પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ અધિકૃતિ નિવેદન બહાર  પડ્‍યું નથી. હોસ્‍પિટલમાં ફક્‍ત ત્રણ મહિના પહેલા જ નવો કોરોના વોર્ડ શરૂ કરાયો હતો. જેમાં ૭૦ બેડની વ્‍યવસ્‍થા કરાઈ હતી.

સ્‍વાસ્‍થ્‍ય વિભાગના પ્રવક્‍તા આમિર જમીલીએ જણાવ્‍યું કે આ અકસ્‍માત થયો ત્‍યારે વોર્ડમાં લગભગ ૬૩ દર્દીઓ દાખલ હતા. ઈરાકના સિવિલ ડિફેન્‍સના પ્રમુખ મેજર જનરલ ખાલિદ બોહને કહ્યું કે હોસ્‍પિટલના નિર્માણમાં જવલશીલ પદાર્થનો ઉપયોગ થયો હતો જે આગને વધુ તેજીથી ફેલાવવાનું કામ કરે છે.

આ વર્ષે ઈરાકમાં આવું  બીજીવાર બન્‍યું કે આટલી મોટી સંખ્‍યામાં કોરોના દર્દીઓના આ રીતે મોત થયા. એપ્રિલમાં પણ આ જ પ્રકારે એક ઘટના ઘટી હતી જેમાં ૮૩ લોકોના જીવ ગયા હતા. ત્‍યારે ઈબ્ર અલ ખાતીબ હોસ્‍પિટલમાં ઓક્‍સિજન ટેન્‍કમાં ધડાકો થયો હતો અને ત્‍યારબાદ આગ લાગી હતી.

આ દુર્ઘટનાએ ફરી એકવાર ઈરાકની હોસ્‍પિટલોમાં સુરક્ષા માપદંડો અને કુશાસનની પોલ ખોલી નાખી છે. દેશમાં કોરોનાના વધતા કેસ વચ્‍ચે આ પ્રકારની દુર્ઘટનાઓ ગંભીર સવાલ પેદા કરે છે. ગત સપ્તાહ ૯ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા.

 

(10:48 am IST)