Gujarati News

Gujarati News

News of Thursday, 16th November 2023

ડેનમાર્કની સંસદે કુરાનના અપમાન પર કરી આ મોટી વાત

નવી દિલ્હી: યુરોપિયન દેશો સ્વીડન અને ડેનમાર્કમાં મુસ્લિમોના પવિત્ર ધર્મગ્રંથ કુરાન શરીફ સળગાવવાની ઘટનાઓ સામે આવ્યા બાદ મુસ્લિમ દેશોમાં રોષ ભારે ફેલાયો છે. આ દરમિયાન ડેનમાર્કની સંસદે કુરાનના અપમાન પર પ્રતિબંધ મૂકવાના બિલ પર ચર્ચા કરી. ડેનમાર્કની સરકારે કહ્યું કે આ પ્રકારનો તણાવ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. તેથી જાહેરમાં કોઈપણ ધાર્મિક ગ્રંથને સળગાવવાની કે તેનું અપમાન કરવાની ઘટનાને ગુનો બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ડેનમાર્કની સંસદની વેબસાઈટ અનુસાર આ કાયદા હેઠળ કુરાન શરીફ સળગાવવા અથવા તેનું અપમાન કરનારા આવા અપરાધીઓને બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ડેનિશ નેશનલ પોલીસના આંકડાઓ અનુસાર, આ વર્ષે 21 જુલાઈથી 24 ઓક્ટોબર વચ્ચે ડેનમાર્કમાં ધાર્મિક પુસ્તકો અથવા ધ્વજ સળગાવવાની 483 ઘટનાઓ નોંધાઈ છે. ખરેખર તો સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં તુર્કીયેના દૂતાવાસની સામે ડેનમાર્કના એક અત્યંત જમણેરી નેતાએ કુરાન શરીફની નકલ ફાડી નાખી હતી અને તેને આગ લગાવી દીધી હતી. જે બાદ સાઉદી અરેબિયા, UAE, પાકિસ્તાન અને ઇજિપ્ત સહિત લગભગ તમામ મુસ્લિમ દેશોએ તેની સખત નિંદા કરી હતી. મુસ્લિમ દેશોએ સ્વીડન અને ડેનમાર્કને આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કડક પગલાં ભરવા કહ્યું હતું.

 

(4:50 pm IST)