Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

શ્રીલંકામાં બુરખો-નકાબ પહેરીને બહાર નિકળવા પર પ્રતિબંધ

કેબિનેટે પ્રસ્‍તાવને આપી મંજુરી

કોલંબો, તા. ૨૮ : શ્રીલંકાની કેબિનેટે મંગળવારે જાહેર સ્‍થળોએ તમામ પ્રકારનાં ચહેરા પરનાં નકાબને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી હોવાનું જણાવી પ્રતિબંધ મૂકવાના પ્રસ્‍તાવને મંજૂરી આપી દીધી છે, જો કે, કોવિડ -૧૯ થી સુરક્ષા માટે માસ્‍ક પહેરવાને મંજૂરી આપી છે.

આ પગલું એવા સમયે આવ્‍યું છે જયારે જાહેર સંરક્ષણ પ્રધાન સરત વીરસેકરાએ માર્ચ મહિનામાં એક દસ્‍તાવેજ પર હસ્‍તાક્ષર કર્યા હતા જેમાં બુરખા પર પ્રતિબંધ મૂકવાની કેબિનેટ મંજૂરીની માંગ કરવામાં આવી હતી. બુરખાનો ઉપયોગ મુસ્‍લિમ મહિલાઓ ચહેરા અને શરીરને ઢાંકવા માટે કરે છે.

કેબિનેટ પ્રવક્‍તા અને માહિતી પ્રધાન કેહલીયા રામબુકવેલાએ અહીં પત્રકારોને જણાવ્‍યું હતું કે કેબિનેટે જાહેર સ્‍થળોએ તમામ પ્રકારના માસ્‍ક પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. તેમણે બર્કનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે કહ્યું, ‘તમામ પ્રકારના માસ્‍ક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.' આ રીતે તમામ પ્રકારના બુરખા અને નકાબનો તેમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે.

આ દરખાસ્‍તને હવે કાયદાનું સ્‍વરૂપ આપવા માટે સંસદની મંજૂરી મેળવવી પડશે. ગયા મહિને શ્રીલંકામાં પાકિસ્‍તાનના હાઈ કમિશનર સાદ ખટ્ટકે દેશમાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્‍તાવની ટીકા કરતા કહ્યું હતું કે, સલામતીના નામે આવા ‘વિભાજનકારી પગલા' માત્ર મુસ્‍લિમોની લાગણીઓને જ નહીં પણ લઘુમતીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

આ ટાપુ દેશમાં લદ્યુમતીઓનાં મૂળભૂત માનવાધિકાર વિશેની વ્‍યાપક આશંકાઓને પણ પ્રોત્‍સાહન આપવામાં આવશે. ‘આ દરમિયાન, વિરસેકરાએ ફેસબુક પોસ્‍ટમાં લખ્‍યું છે કે કેબિનેટે બુરખા સહિતના તમામ પ્રકારના નકાબ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્‍તાવને મંજૂરી આપી છે.

 

(10:28 am IST)