રશિયા-યુક્રેન યુદ્ધના કારણોસર 6થી8ના પાઠ્યપુસ્તકની સર્જાઈ અછત
નવી દિલ્હી: રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 35 દિવસના વેકેશન બાદ આજથી શાળા શરૂ થઈ છે. પ્રથમ દિવસે જ શાળામાં 80% જેટલી વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી રહી છે અને આવતા 3-4 દિવસમાં શાળા રાબેતા મુજબ શરૂ થાય તેવી આશા શાળા સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે. હાલ કોરોના વધતા જતા કેસ વચ્ચે ફરી એક વખત શાળા શરૂ થતા સાવચેતી રાખવી એ એક પડકાર સંચાલકો માટે બની રહેશે.બીજી તરફ રશિયા-યુક્રેનના યુદ્ધને પગલે કાગળની અછત ઉત્પન્ન થઈ છે. જેને પગલે ધો.6થી 8ના પાઠ્યપુસ્તકોની અછત જોવા મળી રહી છે. જેમાં ખાસ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની ટેક્સ્ટ બુકની ખપ સર્જાઈ છે. આજે શરુ થયેલી સ્કૂલો અંગે શાળા સંચાલક અજય પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ઓનલાઇન અને ઓફલાઈન શિક્ષણ વચ્ચે વિદ્યાર્થીઓ ઘણી અગવડતા અનુભવી જેની સામે હવે સંપૂર્ણ ઓફલાઈન શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી ત્રણ થી ચાર દિવસમાં શાળા રાબેતા મુજબ શરૂ થઇ જશે. આ સાથે સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન અને કોરોનાના નિયમોંનું પાલન કરવામાં આવે છે.