જર્મનીના કેટલાક ગામમાં આવેલા રશિયન અબજોપતિઓના આલીશાન મહેલ
નવી દિલ્હી: મ્યુનિકના દક્ષિણમાં બરફથી ઢંકાયેલા પર્વતોની વચ્ચે વસેલા ગામોની આજુબાજુ ટેગર્નસી તળાવ અનેક સદીઓથી ધનવાનોના મનોરંજનનું સ્થળ રહ્યું છે. અહીં બવેરિયાના શાહી પરિવારો, રશિયાના જાર, નાઝીઓ અને પોપ મ્યુઝિક સ્ટારે પણ આલીશાન મહેલો બનાવેલા છે. છેલ્લા કેટલાક વર્ષથી આ વિસ્તાર રશિયન અબજપતિઓનું મનપસંદ સ્થળ બનેલું છે. જર્મન અપરાધ નવલકથાઓના લેખક માર્ટિન કાલસો કહે છે, આ વિસ્તાર માત્ર ધનવાનો જ નહીં પરંતુ ભૂગર્ભમાં રહવા માગતા લોકો માટે છુપાવાનું સ્થાન છે. અમે તેમને રહેવા દઈએ છીએ, કેમકે તેઓ અમારી સમૃદ્ધિના સાધન છે. હકીકતમાં આ મૌન સંમતિ કે કોન્ટ્રાક્ટ જેવું છે. યુક્રેન પર રશિયાનો હુમલો અને ત્યાર પછી રશિયન અબજપતિઓ પર પ્રતિબંધે ટેગનર્સી તળાવના સ્થિર પાણીમાં હલચલ મચાવી દીધી છે. લોકો સવાલ પુછવા લાગ્યા છે કે, શું હવે આ ધનવાનોના આધારે નાણા કમાવા વ્યાજબી છે. ટેગર્નસી પર વસેલા ગામ રોટાચ-એગર્નના કાઉન્સિલના સભ્ય ગ્રીન પાર્ટીના નેતા થોમસ ટોમાસ્ચેક આવું જ વિચારે છે. ટોમાસ્ચેકે કેન્દ્ર સરકાર પર આ અબજપતિઓની સંપત્તિ જપ્ત કરવા કે તેમના પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. તેમના નિશાન પર ખાસ કરીને રશિયાના રાષ્ટ્રપતિ પુટિનની નજીક રહેલા ઉદ્યોગપતિ અલીશેર ઉસ્માનોવ છે. ધાતુ અને માઈનિંગ સાથે સંકળાયેલા ઉસ્માનોવના તળાવના કિનારે ત્રણ વિશાળ બંગલા છે. તેની બાજુમાં જ રશિયન તેલ-ગેસ પાઈપલાઈનના દિગ્ગજ ઈવાન શબાલોવની વિશાળ સંપત્તિ છે. તેમની કંપની સરકારની નિયંત્રણની ગેસ કંપની ગેજપ્રોમ સાથે કામ કરે છે.