પાકિસ્તાને કાશ્મીરમાં કર્યું ફાયરિંગ:એક જવાન શહીદ
નવી દિલ્હી: કાશ્મીરના નાગરોટામાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવતાં શમશમી ગયેલા પાકિસ્તાને આજે ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી બેફામ ગોળીબાર કરતાં એક જવાન શહિદ થઈ ગયો હતો. આ રીતે સાંબા સેક્ટરમાં બે ડ્રોન ઘૂસી આવતાં ભારતીય જવાનો સાબદાં થઈ ગયા હતા અને ડ્રોનને ખદેડી મુક્યા હતા.
આજે સવારના અરસામાં જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ફાયરિંગ કરતાં એક જવાન શહિદ થઈ ગયા હતા. જ્યારે સાંબા વિસ્તારમાં ગત સાંજે બે પાકિસ્તાની ડ્રોન ઘૂસી આવતાં સિક્યોરિટી દળોએ બન્ને ડ્રોનને તોડી પાડ્યા હતા. જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ થયા પછી પાકિસ્તાન સખણું રહી શકતું નથી અને કોઈને કોઈ અટકચાળા કર્યે જ રાખે છે. અગાઉ પંજાબ તરફની ભારત-પાક. સરહદે ડ્રોન દ્વારા હથિયારે ઉતારવાનો પાકિસ્તાનનો પ્રયત્ન ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો આમ છતાં પાકિસ્તાન સતત ડ્રોન મોકલવાના પ્રયાસો છોડી રહ્યું જ નથી.