ઇન્ડોનેશિયામાં મસ્જિદોમાં લાઉડસ્પીકરને લઈને કરવામાં આવશે સૌથી મોટો નિર્ણય
નવી દિલ્હી : ઇન્ડોનેશિયાની સર્વોચ્ચ મુસ્લિમ ક્લેરિકલ કાઉન્સિલે મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર દિશાનિર્દેશોની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.
છેલ્લાં કેટલાંક સમયથી આ દેશમાં કેટલાંય લોકો આ લાઉડસ્પીકર્સને લઇ ફરિયાદો કરી રહ્યા હતા. આપને જણાવી દઇએ કે ઇન્ડોનેશિયા દુનિયાનું સૌથી મોટું મુસ્લિમ વસતી ધરાવતો દેશ છે. અહીં લગભગ 6 લાખ 25 હજાર મસ્જિદો છે અને આ દેશની 27 કરોડ વસતીમાંથી 80 ટકા વસતી મુસલમાનોની છે.
દેશના ધાર્મિક બાબતોના મંત્રાલયે 1978માં એક ફરમાન રજૂ કર્યું હતું જે મસ્જિદોમાં લાઉડસ્પીકરોના ઉપયોગ પર દિશા-નિર્દેશ તરીકે કામ કરે છે. જો કે લોકોની સતત ફરિયાદો બાદ આ મહિનાની શરૂઆતમાં રજૂ કરાયેલા ફતવામાં ઇન્ડોનેશિયન ઉલેમા કાઉન્સિલે કહ્યું કે હાલ સામાજિક ગતિશીલતા અને વધતી મુશ્કેલીઓને રોકવા માટે આ દિશાનિર્દેશોને લઇ એક વખત ફરી વિચાર કરાઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે ઇન્ડોનેશિયામાં મોટાભાગની મસ્જિદો અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરે છે. તેમાંથી કેટલાંય લાઉડસ્પીકરના સ્પીકર સારા નથી તેના લીધે લોકો ધ્વનિ પ્રદૂષણની ફરિયાદો કરવા લાગ્યા છે.