દેશ-વિદેશ
News of Monday, 21st November 2022

ઇન્ડોનેશિયામાં ફરી એક વાર ભૂકંપના ઝટકાથી દેશ હલી ગયો:44 લોકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાં ફરીવાર ભૂકંપના આંચકાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6ની તીવ્રતા માપવામાં આવી છે. આ જોરદાર આંચકા કેટલીક સેકન્ડો સુધી અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિયાનુજરમાં જમીનથી લગભગ 10 કિલોમીટર દૂર હતું. હવામાન અને ભૂ-ભૌતિક એજન્સીએ કહ્યું કે હાલમાં સુનામીનો કોઈ ખતરો નથી. ભૂકંપ એટલો ગંભીર હતો કે, તેમાં અત્યાર સુધીમાં લગભગ 44 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 300 થી વધુ લોકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જકાર્તામાં જ્યારે આ ભૂકંપ આવ્યો તે સમયે અનેક લોકો પોતાની ઓફિસમાં બેસીને કામ કરી રહ્યા હતા. ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે, અનેક બિલ્ડિંગ હલવા લાગી હતી. તેનાથી અફરા-તફરીનો માહોલ બની ગયો હતો. ભૂકંપના કારણે ઈમારતોમાં રાખવામાં આવેલ ફર્નિચર પણ તેની જગ્યાએથી ખસવા લાગ્યું હતું. 22 વર્ષના એક વકીલે પોતાની આંખે જોયેલી ઘટના જણાવતા કહ્યું કે, કેવી રીતે લોકો એટલા ગભરાઈ ગયા હતા કે તેઓ બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા હતા. તેઓ ઝડપથી બિલ્ડિંગમાંથી બહાર નીકળવા માંગતા હતા. 

(6:17 pm IST)