Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સુશાંતસિંહ રાજપૂતના ભાઈ પર ત્રણ શખ્સ દ્વારા ફાયરિંગ

પિતરાઈ ભાઈને ગોળી વાગતા હોસ્પિટલમાં : અત્યાર સુધી દિવંગત અભિનેતાનો પરિવાર એક્ટર પુત્રના મોતનો કોયડો ઉકેલવાની લડાઇ લડી રહ્યો છે

નવી દિલ્હી, તા. ૩૧ : દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવાર પર એકવાર ફરી દુખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પરિવાર સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપૂતના કઝિન (પિતરાઇ ભાઇ)ને તોફાની તત્વોએ ગોળી મારી દીધી છે. તે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે.

આ ઘટના બિહારના સહરસામાં તે સમયે સર્જાઇ હતી જ્યારે સુશાંતના કઝિન પોતના મિત્રો અને યામાહા શોરૂમના માલિક રાજકુમાર સિંહ અને તેમના એક સહયોગી સાથે જઇ રહ્યા હતા. તે સમયે ત્યાં મોટરસાઇકલ પર સવાર કેટલાક બદમાશો આવ્યા અને ત્રણેય પર ગોળીઓ ચલાવી દીધી. આ ઘટના બાદ ત્રણેય લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ત્રણેયની હાલત ગંભીર છે. આ ઘટનાથી સુશાંત સિંહ રાજપૂતના પરિવારમાં ખૌફનો માહોલ છે.

મીડિયા રિપોર્ટસનું માનીએ તો રાજકુમાર સિંહ દરરોજ આ રસ્તે મઘેપુરામાં પોતાના શો રૂમ જતા હતા. ઘટનાના દિવસે પણ આ ત્રણેય લોકો મધેપુરા જઇ રહ્યા હતા. ત્યારે બૈજનાથપુર ચોક પાસે એક મોટરસાઇકલ પર સવાર થઇને ત્રણ લોકો આવ્યા અને સુશાંતના કઝિન, રાજકુમાર અને તેમના મિત્રો પર તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધું. ઘટના પાછળ શું કારણ હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતના પિતા પટનામાં રહે છે. તેમનો પરિવાર અને સંબંધીઓ મૂળ રૂપથી બિહારના રહેવાસી છે. અત્યાર સુધી દિવંગત અભિનેતાનો પરિવાર એક્ટર પુત્રના મોતનો કોયડો ઉકેલવાની લડાઇ રહ્યો છે. આ દરમિયાન તેમના પરિવારના નજીક સંબંધી પર હુમલો વધુ ચોંકાવનારો છે. સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. જોકે લાંબો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી સીબીઆઇએ આ કેસમાં કોઇ મોટો ખુલાસો કર્યો નથી.

(12:00 am IST)