Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

શ્રીલંકાની જેમ અહીં પણ લોકો પીએમના આવાસમાં ઘુસી જશે

ઓવૈસીએ કેન્‍દ્ર પર નિશાન સાધ્‍યું : ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓમાં નેતા મોટા છે, પરંતુ પાર્ટી નાની છેઃ આ બંને પાર્ટીઓમાં નેતાને મોટા સમજવામાં આવે છે

નવી દિલ્‍હી,તા. ૧: એઆઈએમઆઈએમ અધ્‍યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કેન્‍દ્ર સરકાર પર નિશાન સાધ્‍યું છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે વોટ બેન્‍કની રાજનીતિને કારણે વિકાસ થયો છે, પરંતુ મુસલમાનોનો વિકાસ થયો નથી. કારણ કે મુસલમાનોને ક્‍યારેય વોટ બેંકસમજવામાં આવી નથી. આજે ન શિક્ષણ છે ન રોજગાર. ઓવૈસીએ કહ્યુ કે બંધારણમાં જે લખ્‍યું છે, તેનાથી ઉલ્‍ટું થઈ રહ્યું છે. આપણા દેશમાં સંસદીય લોકતંત્ર છે, પરંતુ આપણે તેને વાસ્‍તવિક રૂપ આપી રહ્યાં નથી.

ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યુ કે, આ બંને પાર્ટીઓમાં મોટા નેતા છે, પરંતુ પાર્ટી નાની છે. આ પાર્ટીઓમાં નેતાને મોટા સમજવામાં આવે છે. ઓવૈસીએ કહ્યુ કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જવાબ આપવો જોઈએ કે દેશમાં કોણ કટ્ટરતા ફેલાવી રહ્યું છે. તે ગણ્‍યાંગાંઠ્‍યા લોકો કોણ છે? તેમણે કહ્યું કે જનતાનો સંસદીય લોકતંત્રમાં વિશ્વાસ ઉઠી ગયો છે. તે દિવસ દૂર નથી, જયારે શ્રીલંકાની જેમ સ્‍થિતિ અહીં થશે, જયારે જનતા પ્રધાનમંત્રી આવાસમાં ઘુસી જશે.

લોકસભા સાંસદ ઓવૈસીએ પરિવારવાદ પર સવાલના જવાબમાં કહ્યું કે વિધાનસભા કે સાંસદની ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર હોય છે. પરિવારના બેકગ્રાઉન્‍ડને જોઈને ટિકિટ આપવામાં આવે છે. કિસાન આંદોલન, સીએએ આંદોલન અને અગ્નિવીર યોજનાનો વિરોધ જનતાએ કર્યો. જનતા રસ્‍તા પર આવી ગઈ કારણ કે આપણા પર વિશ્વાસ નથી રહ્યો. તેનો અવાજ ઉઠાવવાનો હતો, પરંતુ આપણે લોકોએ તે કર્યું નહીં.

હિન્‍દુ-મુસ્‍લિમના નામ પર રાજનીતિ કરવાના સવાલ પર ઓવૈસીએ કહ્યુ કે આજે લોકસભામાં મુસ્‍લિમ સાંસદોની સંખ્‍યા કેટલી છે? રાજસ્‍થાનમાં છેલ્લો ક્‍યા મુસ્‍લિમે સાંસદની ચૂંટણી જીતી? કોઈ ન જણાવી શકે. પરંતુ સત્‍ય છે કે હિન્‍દુ-મુસ્‍લિમની રાજનીતિમાં નુકસાન માત્ર મુસલમાનનું થયું છે. ઓવૈસીએ કહ્યું કે કોઈના બાપનું રાજસ્‍થાન નથી. અમે તાકાત સાથે રાજસ્‍થાનની ચૂંટણી લડીશું. જનતાએ મત આપવો હોય તો આપે પરંતુ ચૂંટણી સંપૂર્ણ તાકાત સાથે લડવામાં આવશે. અમને ભાજપની બી ટીમ કહેવામાં આવે છે. પરંતુ જયારે અમે ચૂંટણી નથી લડતા ત્‍યારે પણ કોંગ્રેસ હારી જાય છે. રાજસ્‍થાન, મધ્‍ય પ્રદેશ, છત્તીસગઢમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા. જયારે અમે ચૂંટણી ન લડી તો ભાજપની જીત થઈ. 

(10:29 am IST)