Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ભારતના હાલ શ્રીલંકા, પાકિસ્‍તાન જેવા નહીં થાય

રઘુરામ રાજને આરબીઆઇની પ્રશંસા કરી

નવી દિલ્‍હી,તા. ૧ : ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને આરબીઆઈની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI)એ વિદેશી મુદ્રા ભંડાર વધારવામાં સારું કામ કર્યું છે અને દેશને શ્રીલંકા અને પાકિસ્‍તાન જેવી આર્થિક સમસ્‍યાઓનો સામનો કરવો પડશે નહીં. ભારત પાસે પર્યાપ્ત વિદેશી હૂંડિયામણ અનામત છે. રિઝર્વ બેંકે અનામત વધારવામાં સારું કામ કર્યું છે. ભારતને શ્રીલંકા અને પાકિસ્‍તાન જેવી સમસ્‍યાઓનો ભય નથી. આપણા દેશ પર વિદેશી દેવું પણ ઓછું છે, એમ પણ તેમણે જણાવ્‍યું હતું.

દેશના મોંઘવારી પર પ્રતિક્રિયા આપતા આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું હતું કે આરબીઆઈ દ્વારા પોલિસી રેટમાં વધારો ફુગાવાના દબાણને ઘટાડવામાં મદદ કરશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આ સમયે સમગ્ર વિશ્વમાં મોંઘવારી છે. આરબીઆઈ તેના વ્‍યાજ દરોમાં સતત વધારો કરી રહી છે, જે મોંઘવારી ઘટાડવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે સૌથી વધુ મોંઘવારી ખાદ્ય અને ઈંધણમાં છે. આપણે બધા સ્‍પષ્ટપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વમાં ખાદ્યપદાર્થોનો ફુગાવો ઘટી રહ્યો છે અને આવનારા સમયમાં ભારતમાં પણ મોંઘવારી ઘટશે.

(10:31 am IST)