Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

એસ. જયશંકરે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં પાક. વિદેશ મંત્રી સાથે વાત કરવાની તો દૂર ભાવ પણ ન આપ્યો !

1 ફુટ દૂર બેઠેલા બિલાવલ ભુટ્ટોને મળ્યા પણ નહીં ! : જયશંકરે બેઠકમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન તરફ નજર પણ ન કરી

નવી દિલ્લી તા.01 : ભારત અને પાકિસ્તાનનાં સંબંધો અંગે તો સૌ કોઈ જાણે જ છે. પરંતુ ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાયેલી શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભારત અને પાકિસ્તાનનાં વિદેશ મંત્રીઑ એક-બીજાથી માત્ર 1 ફુટનાં અંતરે બેઠા હતા. પરંતુ એસ જયશંકરે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે વાત કરી ના હતી અને તેમને મળ્યા ન હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે. ભારત આતંકવાદના મુદ્દે આંતરરાષ્ટ્રીય મોરચે પણ પાકિસ્તાનને ઠપકો આપે છે. આમ છતાં પાકિસ્તાન તરફથી આતંકવાદ મામલામાં કોઈ સુધારો થયો નથી. પાકિસ્તાનની સેના આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરવા અને આતંક ફેલાવવામાં મદદ કરે છે.

આ દરમિયાન ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાયેલી શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે. મીટિંગમાં બંને વિદેશનાં પ્રધાન નજીકમાં બેઠા હતા, પરંતુ આ દરમિયાન પણ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. તાશ્કંદમાં યોજાયેલી આ SCO બેઠકમાં તમામ 8 સભ્ય દેશોના વિદેશ પ્રધાનોએ હાજરી આપી હતી. પરંતુ એસ જયશંકરે આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ પ્રધાન તરફ નજર પણ કરી ન હતી. આ ઘટના બાદ પાકિસ્તાનના મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બેક ચેનલ દ્વારા બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ છે.


બિલાવલ ભુટ્ટો ઝરદારીએ એપ્રિલમાં જ પાકિસ્તાનના વિદેશ પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આવી સ્થિતિમાં, એસસીઓની બેઠક એકમાત્ર એવી ઘટના હતી જ્યાં તેઓ પ્રથમ વખત હાજરી આપી રહ્યા હતા. પાકિસ્તાનના અખબાર ડૉન અનુસાર તાશ્કંદમાં યોજાયેલી SCOની બેઠકમાં બંને વિદેશ પ્રધાનો વચ્ચે મુલાકાત થવાની આશા હતી. જયશંકર અને બિલાવલ ભુટ્ટો વચ્ચે એસસીઓની બેઠક દરમિયાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિની ડિનર પાર્ટીમાં કોઈ વાત થઈ ન હતી.

આઠ દેશોના જૂથની વિદેશ પ્રધાન સ્તરની બેઠકમાં તેમના સંબોધનમાં, જયશંકરે SCOના આર્થિક ભવિષ્ય માટે ચાબહાર પોર્ટની સંભવિતતાને પણ રેખાંકિત કરી હતી. જયશંકરે SCOની બેઠકમાં કહ્યું કે વૈશ્વિક ઉર્જા અને ખાદ્ય સંકટને પહોંચી વળવાની તાતી જરૂરિયાત છે. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ પ્રધાનોએ પણ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેઓએ 15-16 સપ્ટેમ્બરે સમરકંદમાં આગામી SCO સમિટની તૈયારીઓ અંગે ચર્ચા કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને જૂથના અન્ય નેતાઓ સમિટમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

(8:26 pm IST)