Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોરોના પ્રોટોકોલ સાથે પ્રણવદાને અંતિમ વિદાઇ

દિલ્હીના લોધી ગાર્ડનમાં અંતિમ સંસ્કાર : પુત્ર અભિજીતે આપી વિદાઇ : વડાપ્રધાન સહિતના મહાનુભાવો એ પ્રણવ મુખર્જીના નિવાસે જઇ અર્પી શ્રધ્ધાંજલિ

પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન : અશ્રુભીની આંખે રાષ્ટ્રે આપી વિદાઇ

નવી દિલ્હી તા. ૧ : રાજકીય શિખર પુરૂષ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના આજે લોધી સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એ પહેલા તેમના પાર્થિવ શરીરને ૧૦, રાજાજી માર્ગ પર આવેલા તેમના સરકારી આવાસ પર લાવવામાં આવ્યું. જ્યાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના નેતાઓએ શ્રધ્ધાંજલિ અર્પિત કરી. મોદી કેબિનેટની બેઠકમાં પ્રણવદાને શ્રધ્ધાંજલિ અર્પીને શ્રધ્ધા સુમન અર્પણ કરાયા.

રાજકીય સમ્માનની સાથે પ્રણવદાને ભીની આંખે દેશે વિદાય કરી તે પહેલા દરેક પક્ષના નેતાઓએ તેમના અંતિમ દર્શન કર્યા.

દિલ્હીના લોધી રોડ સ્મશાન ઘાટ પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન પ્રણવદાના બંને પુત્ર અભિજીત મુખર્જી સહિત દરેક લોકો પીપીઇ કિટમાં જોવા મળ્યા. કોરોનાના લીધે વધુ લોકોને અંતિમ સંસ્કારમાં સામેલ થવાની મંજુરી આપવામાં આવી નહીં.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુર્ખજીના નિધન બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પ્રણવ મુખર્જીનું સોમવારે દિલ્હીની આર્મી રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં નિધન થયું. આ વાતની જાણકારી તેમના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને આપી હતી. પ્રણવ મુખર્જી લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી ભારતના ૧૩માં રાષ્ટ્રપતિ રહ્યા. પ્રણવ મુખર્જીને ૨૦૧૯માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. પ્રણવદાનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ પશ્ચિમ બંગાળના મિરીટી ગામમાં થયો હતો.

(3:18 pm IST)