Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્રો દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય :દર વર્ષે આવકનું પ્રમાણપત્ર મેળવવામાંથી મુક્તિ.

રાજ્ય સરકારની યોજનાઓના લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તેવા જનહિત ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો નિર્ણય

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં ‘‘ડિજીટલ ગુજરાત’’ અન્વયે આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે તેની સમયમર્યાદા હવે ૧ વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે
  ભૂપેન્દ્રભાઇ પટેલના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવે છે
રાજ્યના અન્ય વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા લાભાર્થીઓને દર વર્ષે આવકનું પ્રમાણપત્ર લેવું પડતું હોય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ સમસ્યાનું નિવારણ લાવતાં હવે તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની અવધિ પણ ૧ વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવાનો નિર્ણય કર્યો છે
તદઅનુસાર, હવેથી રાજ્યના લાભાર્થીઓને દર વર્ષે નવા આવક પ્રમાણપત્ર મેળવવાથી મુક્તિ મળશે અને એક જ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહિ. આ અંગેના જરૂરી આદેશો રાજ્યના પંચાયત વિભાગે બહાર પાડયા છે.

(7:28 pm IST)