Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ભાજપની વિચારધારામાં હિંસા ઊંડે સુધી વણાયેલી :હિંસા કરીને ધમકીઓ આપીને લોકોનું વર્તન બદલવા માંગે છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કેરળના વાયનાડના મનંથવાડી ખાતે કિસાન બેંકની ઇમારતનું ઉદ્ઘાટન કર્યું : સુલતાન બાથેરીમાં UDF બહુજન સંગમમાં પણ જોડાયા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે કેરળના વાયનાડ પહોંચ્યા હતા. અહીં તેમણે મનંથવાડી ખાતે કિસાન બેંકની ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. સુલતાન બાથેરીમાં UDF બહુજન સંગમમાં પણ જોડાયા હતા.

આ દરમિયાન 24 જૂને તેમના સંસદીય કાર્યાલયમાં તોડફોડનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભાજપ અને સીપીઆઈ હિંસામાં માને છે. હિંસા તેમની વિચારધારામાં ઊંડે સુધી વણાયેલી છે. તે  હિંસા કરીને, ધમકીઓ આપીને લોકોનું વર્તન બદલવા માંગે છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી  વિચારે છે કે તેઓ તેમને પાંચ દિવસ સુધી ED સમક્ષ રજૂ કરીને મને ડરાવી દેશે, પરંતુ આ તેમની ખોટી માન્યતા છે. તેવી જ રીતે CPI(M) વિચારે છે કે તે મારી ઓફિસ તોડીને મને ડરાવશે

રાહુલ ગાંધીએ કહ્યું કે ભલે આ ઓફિસ મારી છે, પરંતુ મારા પહેલા તે વાયનાડના લોકોની ઓફિસ છે. ત્યાં જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા ક્યારેય સમસ્યાનો ઉકેલ લાવતી નથી. જે લોકોએ આવું કર્યું તેઓએ બેજવાબદારીભર્યું વલણ અપનાવ્યું. SFI અથવા CPI(M) નો ઉલ્લેખ કરીને, તેમણે કહ્યું કે મને તેમના પ્રત્યે કોઈ ગુસ્સો કે દુશ્મનાવટ નથી. તેઓ બાળકો છે પરંતુ તેઓએ જે કર્યું તેનું પરિણામ તેઓ સમજી શકતા નથી. ઉલ્લેખનીય છે કે તેઓ પોતાના મતવિસ્તારના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે.

નુપુર શર્માને લઈને સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે નુપુર શર્માની ટિપ્પણીથી દેશમાં જે વાતાવરણ સર્જાયું છે તે વાસ્તવમાં તેઓ નહીં પરંતુ વડાપ્રધાન  મોદી, ગૃહમંત્રી શાહ, ભાજપ અને આરએસએસ છે.  સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું છે કે ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યા એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, જેના માટે નૂપુર શર્માનું નિવેદન જવાબદાર છે.

વધુમાં રાહુલ ગાંધીએ નુપુર શર્માને ઠપકો આપતાં કહ્યું કે તમે એક પાર્ટીના પ્રવક્તા છો એટલે સત્તા તમારા મગજ પર ચઢી ગઈ છે. રાહુલ ગાંધીએ ઈકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે અમે આવા બફર ઝોન નથી ઈચ્છતા, જેમાં રહેણાંક વિસ્તારોનો સમાવેશ થાય. તેમણે કહ્યું કે ગયા વર્ષે જ્યારે વાયનાડ વન્યજીવ અભયારણ્યની આસપાસ ઇકો-સેન્સિટિવ ઝોનનું સીમાંકન કરવામાં આવી રહ્યું હતું, તે સમયે મેં પર્યાવરણ મંત્રાલયને સ્થાનિક સમુદાયોની ચિંતાઓને દૂર કરવા વિનંતી કરી હતી. મેં સીએમને એમ પણ કહ્યું હતું કે ઈકો-સેન્સિટિવ ઝોન ઘટાડવા માટે કોઈ પણ વ્યક્તિ મંત્રાલયનો સંપર્ક કરી શકે છે, પરંતુ એક મહિના પછી પણ કેરળ સરકારે હજુ સુધી કોઈ પગલું ભર્યું નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે આજે આપણા ખેડૂતો અને ખેતીની અવગણના કરવામાં આવી રહી છે. ખેડૂતોને કોઈપણ આધાર વિના તેમની સ્થિતિ પર છોડી દેવામાં આવ્યા છે. સરકારોએ આપણા ખેડૂતો અને ખેતીની સુરક્ષા માટે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે મોટા ઉદ્યોગો લોન લે છે. જો તેઓ લોન ચૂકવવામાં અસમર્થ હોય તો તેમની લોન માફ કરવામાં આવે છે. તેઓ હજારો કરોડો રૂપિયા લે છે અને તે લોન માફ કરવામાં આવે છે પરંતુ તેમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી. કોઈ તેમને પૂછતું નથી કે તમે શું કર્યું અથવા કેવી રીતે કર્યું, તમે પૈસા કેવી રીતે ગુમાવો છો.

(11:28 pm IST)