Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

યુવકે ગોબર વેંચીને કરી ૪ લાખની કમાણી : યુવતીના પિતાએ પ્રભાવિત થઇ દીકરીના લગ્ન કરાવ્‍યા

ગોધન ન્‍યાય યોજના પહેલા તો ઢોરનું છાણ વ્‍યર્થ જતુ હતુ : ગોધન ન્‍યાય યોજના લાગુ થયા બાદ તેમણે ગાયના છાણનું વેંચાણ શરૂ કર્યું હતું

રાયપુર,તા. ૨ : છત્તીસગઢના મુખ્‍યમંત્રી ભૂપેશ બઘેલ આ દિવસોમાં સભા કાર્યક્રમના ભાગરૂપે જનતાને મળી રહ્યા છે. આ અંતર્ગત તેઓ બુધવારે સરગુજા વિભાગના કોરિયા જિલ્લામાં હતા. અહીં એક નવ પરણિત યુગલે મુખ્‍યમંત્રી સાથે તેમના લગ્ન વિશે રસપ્રદ વાત કહી હતી. એવો દાવો કરવામાં આવ્‍યો હતો કે ગાયના છાણના વેચાણથી યુવકના લગ્નની અડચણ દૂર થઇ હતી અને ગોબર વેચીને થતી કમાણી જોઈને તેણે લગ્ન કર્યા હતા.
વાત છે કોરિયા જિલ્લાના માનેન્‍દ્રગઢના રહેવાસી શ્‍યામ જયસ્‍વાલની. શ્‍યામે મુખ્‍યમંત્રી ભૂપેશ બઘેલની સામે સભા સમારોહ દરમિયાન ગાયના છાણના વેચાણથી થતી આવક બાદ લગ્ન નક્કી થયા ત્‍યાં સુધીના લગ્નની આ રસપ્રદ વાત જણાવી હતી. મુખ્‍યમંત્રી કોરિયા જિલ્લાના પરાડોલ પહોંચ્‍યા હતા. ગોધન ન્‍યાય યોજનાને લઈને જયારે વાત બહાર આવી ત્‍યારે ગ્રામજનો સાથે ચર્ચા દરમિયાન મુખ્‍યમંત્રીને મળવા આવેલા શ્‍યામકુમાર જયસ્‍વાલે ગોધન ન્‍યાય યોજનાથી પોતાના જીવનમાં આવેલા પરિવર્તનની એક રસપ્રદ વાત જણાવી હતી.
શ્‍યામ કુમારે કહ્યું કે ગોધન ન્‍યાય યોજનાના કારણે જ તેમના લગ્નની બાધા દૂર થઈ અને તેમને જીવનસાથી મળી ગઇ હતી. રાજય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એક યાદીમાં કહેવામાં આવ્‍યું છે કે પશુપાલનના માલિક શ્‍યામ કુમારની આવક પહેલા ખૂબ ઓછી હતી. તેમણે દૂધની ડેરીનો ધંધો શરૂ કર્યો, પરંતુ જેટલી આવક તેઓ દૂધમાંથી મેળવતા હતા. તે માંડ માંડ રોજીરોટી કમાઈ શકતો હતો. પહેલા તો ઢોરનું છાણ વ્‍યર્થ જતું હતું. ગોધન ન્‍યાય યોજના લાગુ થયા બાદ તેમણે ગાયના છાણનું વેચાણ શરૂ કર્યું હતું. અત્‍યાર સુધીમાં બે લાખ પાંચ હજાર કિલોગ્રામ છાણ વેચાઈ ચૂક્‍યું છે. આના બદલે તેમને ૪ લાખ ૧૦ હજાર રૂપિયાની કમાણી કરી છે.
આ બેઠકમાં પતિ શ્‍યામ કુમાર સાથે પહોંચેલી તેમની પત્‍ની અંજુએ જણાવ્‍યું હતું કે, તેઓ વ્‍યવસાયે નર્સિંગ સ્‍ટાફ છે. તેમના લગ્નને લઈને ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન પરિવારના સભ્‍યોને શ્‍યામ કુમાર વિશે જાણકારી મળી કે તે ગાયનું છાણ વેચીને સારી કમાણી કરી રહ્યો છે. તેઓ પોતાનો વ્‍યવસાય વધારવા માટે પણ સખત મહેનત કરી રહ્યા છે. આ વાતથી પ્રભાવિત થઈને અંજુના પિતા અને પરિવારના અન્‍ય સભ્‍યો પોતાની દીકરીના લગ્ન ગાયના છાણ વેચનારા શ્‍યામ કુમાર સાથે કરાવવા તૈયાર થઈ ગયા હતા. તેમના લગ્ન આ મહિને ૧૯ જૂને થયા હતા.

 

(10:16 am IST)