Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

આખરે ત્રણ કૃષિ કાયદા થયા રદ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લગાવી મોહર

લોકસભા અને રાજ્યસભામાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાનું બિલ પસાર કરાયું હતું

નવી દિલ્હી: કૃષિ કાયદાને રદ કરવાના બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની અંતિમ મોહર લગાવી દીધી છે. આ સાથે જ ત્રણ કૃષિ કાયદા હવે ઔપચારિક રીતથી રદ થઈ ગયા છે. આ પહેલા શિયાળુ સત્રના પહેલા જ દિવસે 29 નવેમ્બરના સાંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભામાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલના વિરોધમાં એક વર્ષથી રાજધાની દિલ્હીની સીમાઓ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા.

સોમવારના લોકસભામાં કૃષિ કાયદાને રદ કરવાનું બિલ પસાર કરાવવામાં આવ્યું હતું, ત્યારબાદ રાજ્યસભામાંથી પણ પસાર કરાવવામાં આવ્યું છે. સંસદના સભ્યોના ભારે હોબાળા વચ્ચે ધ્વનિ મત દ્વારા બિલ પસાર કરવામાં આવ્યા હતા. બિલ રદ કરવા પર વિપક્ષનું કહેવું હતું કે, પાંચ રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં નુકસાનથી બચવા માટે સરકાર દ્વારા આ પગલાં ઉઠાવવામાં આવ્યા છે, જ્યારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે તેમના નિવેદનમાં કહ્યું કે, સરકાર કૃષિ કાયદા વિશે ખેડૂતોને સમજાવવામાં સફળ થઈ શકી નહીં એટલા માટે પીએમએ કાયદા પાછા ખેંચી લેવાની ખાનદાની દર્શાવી.

(12:00 am IST)