Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

૭૭૮૨ પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માગી

નિત્યાનંદ રાયે વિસ્તારપૂર્વકની જાણકારી આપી : ૫ વર્ષમાં ૮૭ દેશના કુલ ૧૦,૬૪૬ લોકોએ ભારતની નાગરિકતા માગી, છ લાખથી વધુએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી, તા.૧ : કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સીએએઅને એનઆરસીને લઈ વિસ્તારપૂર્વકની જાણકારી આપી હતી. આ દરમિયાન તેમણે સદનમાં અમુક એવા આંકડાઓ રજૂ કર્યા જેના કારણે સૌ કોઈ ચોંકી ઉઠ્યુ હતું. નિત્યાનંદ રાયે જણાવ્યું કે, છેલ્લા ૫ વર્ષમાં ૮૭ દેશના કુલ ૧૦,૬૪૬ લોકોએ ભારતની નાગરિકતા માગી છે.

આંકડાઓ પ્રમાણે ભારતની નાગરિકતાની સૌથી વધારે માગણી પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલી છે. છેલ્લા ૫ વર્ષથી પાકિસ્તાની અલ્પસંખ્યકોએ ભારતના શરણમાં આવવાનું ચાલુ કરી દીધું છે. કુલ ૭,૭૮૨ પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માટે અપીલ કરી છે.

તે સિવાય આ યાદીમાં બીજા નંબરે ભારતના પાડોશી બાંગ્લાદેશનું નામ છે. બાંગ્લાદેશના ૧૮૪ લોકોએ હિંદુસ્તાનની નાગરિકતા માટે અપ્લાય કરેલું છે. ત્રીજા નંબરે સંકટમાં ઘેરાયેલા અફઘાનિસ્તાનનું નામ છે જ્યાંના ૭૯૫ લોકો ભારતના નાગરિક બનવા માટે તૈયાર જણાઈ રહ્યા છે.

જો છેલ્લા ૧૦ વર્ષની વાત કરીએ તો આ યાદીમાં બાંગ્લાદેશ, પાકિસ્તાનને પછાડીને નંબર-૧ બની જાય છે. આંકડાઓ પ્રમાણે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫,૧૭૬ બાંગ્લાદેશીઓએ ભારતની નાગરિકતા માગી છે. જ્યારે ૪,૦૮૫ પાકિસ્તાનીઓ એવા પણ છે જેમને ભારતના શરણમાં આવવાનું યોગ્ય લાગ્યું.

એક તરફ અનેક લોકો દ્વારા ભારતીય નાગરિકતાની માગણી કરવામાં આવી છે તો એક વર્ગ એવો પણ છે જેણે પોતાની ભારતીય નાગરિકતાનો ત્યાગ કરીને અન્ય દેશોની નાગરિકતા અપનાવી છે. છેલ્લા ૫ વર્ષમાં ૬ લાખ કરતા પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે. 

લેખિત ઉત્તરમાં કહેવામાં આવ્યું હતું કે, ૨૦૧૭ના વર્ષમાં ૧,૩૩,૦૪૯ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી.

જ્યારે ૨૦૧૮ના વર્ષમાં ૧,૩૪,૫૬૧ લોકોએ ભારતીય સદસ્યતા છોડી. ૨૦૧૯માં ૧,૪૪,૦૧૭ભારતીયોએ પોતાની સદસ્યતા છોડી. ૨૦૨૦માં ૮૫,૨૪૮ લોકોએ અને ૨૦૨૧ના વર્ષમાં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં ૧,૧૧,૨૮૭ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે.

(12:00 am IST)