Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

પત્નીએ પતિને પીરિયડ્સનું લોહી ભોજનમાં ખવડાવ્યું

ઉત્તર પ્રેદશના ગાઝિયાબાદનો ચોંકાવનારો મામલો : પીડિત પતિએ ૧૨ જૂન ૨૦૨૦ના રોજ પત્ની અને તેના માતા પિતા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

ગાઝિયાબાદ, તા.૧ : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પતિની ફરિયાદનો લાંબો ઈન્તેજાર ખતમ થયા બાદ તેની ફરિયાદની તપાસ માટે એક મેડિકલ બોર્ડ બનાવવામાં આવ્યું છે. આ કેસના ફરિયાદકર્તાનું કહેવું છે કે તેની પત્નીએ તેને પોતાનું પીરિયડનું લોહી ભોજનમાં ભેળવીને ખવડાવ્યું જેના કારણે તેને ગંભીર સંક્રમણ થઈ ગયું. આ કારણે જ તે મરતા મરતા બચ્યો છે. પીડિત પતિએ ગત વર્ષ ૧૨ જૂન ૨૦૨૦ના રોજ પત્ની અને તેના માતા પિતા વિરુદ્ધ કવિ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલો ઘણા સમયથી પોલીસ પાસે હતો પણ હવે તેના પણ આવેલા નિર્ણયથી પતિએ રાહતના શ્વાસ લીધા છે. વાત જાણે એમ છે કે ફરિયાદ આવ્યા બાદ પોલીસના ટોચના અધિકારીઓએ જિલ્લા ચિકિત્સા અધિકારી (સીએમઓ) ને પત્ર લખીને આ મામલે રિપોર્ટ માંગ્યો હતો. હવે આ આરોપોની તપાસ માટે ચાર સભ્યોની મેડિકલ ટીમ બનાવવામાં આવી છે. આ બોર્ડના રિપોર્ટ બાદ ગાઝિયાબાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે. હકીકતમાં મામલો જૂનો છે પરંતુ તે સમયના મેડિકલ રિપોર્ટ્સના આધારે આ મામલે કોઈ પણ તારણ પર પહોંચવું આ મેડિકલ બોર્ડ માટે સરળ નહીં રહે.

એક રિપોર્ટ મુજબ આ પતિએ પોતાના દાવાને સાચો ઠેરવવા માટે મેડિકલ રિપોર્ટ પણ સોંપ્યો છે. પીડિતની ફરિયાદ પર કવિ નગર પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૨૮ અને ૧૨૦ બી એટલે કે અપરાધિક ષડયંત્ર હેઠળ કેસ દાખલ કરાયો છે.

ફરિયાદકર્તાનો દાવો છે કે જ્યારે તે સમયગાળા દરમિયાન ભોજન કર્યા બાદ તે અપ્રત્યાશિત રીતે બીમાર પડ્યો તો કમ્પલીટ મેડિકલ ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટના મેડિકલ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ  થઈ છે કે સંક્રમણના કારણે જ તેના શરીરમાં સોજો છે. ફરિયાદકર્તા પતિના લગ્ન ૨૦૧૫માં થયા હતા. ફરિયાદ મુજબ  પત્ની વારંવાર સાસુ સસરાથી અલગ રહેવાની જીદ કરતી હતી. પરંતુ તેનો પતિ તેના માતા પિતાને છોડીને જવા માટે તૈયાર નહતો. ત્યારબાદ નાની નાની વાત પર શરૂ થયેલી તકરાર ઝઘડામાં ફેરવાઈ. અને પછી તો મામલો વધતો વધતો આવા વળાંક પર આવી પહોંચ્યો.

અત્રે જણાવવાનું કે ગત વર્ષે પણ આ મામલો ચર્ચામાં હતો. ત્યારે પણ પીડિત વ્યક્તિએ તેની પત્ની અને સાસરિયા પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારે તેણે એવું પણ કહ્યું હતું કે પત્ની અને સાસરીવાળાઓ તેને ખાવામાં ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરી પરંતુ  ભાગ્યનો સાથ અને સતર્ક રહેવાના કારણે તે બચી ગયો.

આ મામલે પતિએ એમ પણ કહ્યું કે વહુના રોજ રોજના ઝઘડાથી કંટાળીને મારા માતા પિતા પોતાનું ઘર છોડીને સંબંધીઓના ત્યાં રહેવા જતા રહ્યા. ત્યારબાદ પત્નીએ તેના ભોજનમાં માસિક ધર્મનું લોહી ભેળવી દીધુ અને તે રાતના ભોજનમાં આપ્યું.' જ્યારે આ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે આ વિશે તેને કેવી રીતે જાણવા મળ્યું તો તેણે કહ્યું કે તેણે તેની પત્ની અને તેની માતા વચ્ચે વાતચીત એક રેકોર્ડેડ ફોન પર કરી હતી. કેસમાં એક વર્ષની તપાસ બાદ જ્યારે પોલીસે સીએમઓને પત્ર લખ્યો તો એકવાર ફરીથી આ મામલો ચર્ચામાં આવતા જ વાયરલ થઈ રહ્યો છે.

(12:00 am IST)