Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ઓછા મતદાનનો કોને ફાયદો, કોને ટેન્‍શન?

નવી દિલ્‍હી,તા. ૨: ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગુરુવારે ૮૯ બેઠકો પર મતદારોએ ૭૮૮ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં   નક્કી કર્યા હતા. સાંજે ૫ વાગ્‍યા સુધી પ્રથમ તબક્કામાં કુલ ૫૭ ટકા મતદાન થયું છે, જે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ઘણું ઓછું છે. ગત ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ૬૮ ટકા મતદાન થયું હતું. રાજકીય નિષ્‍ણાતો હવે ઓછા મતદાનનો મતલબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સામાન્‍ય રીતે એવું માનવામાં આવે છે કે ચૂંટણીમાં ઓછા મતદાનથી સત્તામાં રહેલા પક્ષને ફાયદો થાય છે. રાજકીય નિષ્‍ણાતો કહે છે કે ઘણી વખત જયારે મતદારો સરકારની કામગીરીથી સંતુષ્ટ હોય અથવા તેઓ પરિવર્તનની તરફેણમાં ન હોય ત્‍યારે ઓછા મતદારો બૂથ પર જાય છે. તે જ સમયે, મતદાનની ટકાવારીમાં વધારો પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવે છે. જો કે, ચોક્કસ કંઈ કહી શકાય નહીં. ગુજરાતમાં ઓછું મતદાન કોની તરફેણમાં જશે અને કોને નુકસાન સહન કરવું પડશે તે તો ૮મી ડિસેમ્‍બરે મતગણતરી બાદ જ સ્‍પષ્ટ થશે

જયારે ભારતીય જનતા પાર્ટી (BJP) ૨૭ વર્ષથી પોતાનું શાસન જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, ત્‍યારે કોંગ્રેસે ગામડે ગામડે જઈને ત્રણ દાયકાના દુષ્‍કાળને ખતમ કરવાની અપીલ કરી છે. તે જ સમયે, આ વખતે અરવિંદ કેજરીવાલના નેતૃત્‍વમાં આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્‍યા છે અને પરિવર્તનનો દાવો કર્યો છે. બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્‍બરે થશે અને પરિણામ ૮ ડિસેમ્‍બરે આવશે. ૧૮૨ સભ્‍યોની વિધાનસભામાં બહુમત માટે ૯૨ સીટોની જરૂર છે. ૨૦૧૭માં ભાજપે ૯૯ અને કોંગ્રેસે ૭૭ બેઠકો કબજે કરી હતી.

(11:08 am IST)