Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સંક્રમણ વિરૂધ્ધ કોવાકિસન ૭૮ ટકા સુધી અસરદાર : ડેલ્ટા વેરિઅન્ટ સામે ૬૫.૨% કારગર

ભારત બાયોટેકે કોવાકિસનના ત્રીજા તબક્કાના ટ્રાયલના પરિણામો જાહેર કર્યા

નવી દિલ્હી તા. ૩ : ભારતની સ્વદેશી કોરોના રસી વિશે મોટા સમાચાર આવ્યા છે. ભારત બાયોટેકે પોતાની કોવિડ રસી COVAXIN ના ત્રીજા ફેઝના ટ્રાયલના પરિણામ જાહેર કર્યા છે. જે મુજબ COVAXIN કોરોના વિરૂદ્ઘ ૭૭.૮% અસરકારક છે. જયારે ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટ સામે તે ૬૫.૨% અસરકારક છે. ત્રીજા તબક્કાની ટ્રાયલમાં કુલ ૨૪,૪૧૯ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨,૨૨૧ લોકોને અસલી વેકસીનના બંને ડોઝ અપાયા હતા. જયારે ૧૨,૧૯૮ લોકોને પ્લેસિબો અપાઈ હતી.

કોરોના વાયરસના ગંભીર સંક્રમણનો ભોગ બનેલા લોકોની વાત કરીએ તો કોવેકસીન તેના વિરૂદ્ઘ  ૯૩.૪% પ્રભાવી જણાઈ છે. કંપનીએ અધિકૃત રીતે પરિણામો બહાર પાડતા જણાવ્યું કે ત્રીજા ફેઝની ટ્રાયલમાં ભાગ લેનારા ૧૬,૯૭૩ લોકોને બંને ડોઝ (અસલ વેકસીન કે પ્લેસિબો) આપ્યાના ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી. તેના ફોલોઅપમાં જાણવા મળ્યું કે ૧૩૦ વોલેન્ટિયર્સને કોરોના સંક્રમણ થયું, તેમાંથી ૨૪ લોકો એવા હતા જેમને અસલ રસીના બંને ડોઝ અપાયા બાદ કોવિડ થયો જયારે ૧૨૪ વોલેન્ટિયર્સ એવા હતા જેમને પ્લેસિબો આપ્યા બાદ કોવિડ થયો હતો.

એ જ રીતે કોવિડનું ગંભીર સંક્રમણ જે ૧૬ વોલેન્ટિયર્સમાં જોવા મળ્યું તેમાંથી ફકત એકને જ અસલી રસી આપવામાં આવી હતી જયારે બાકીના ૧૫ને પ્લેસિબો આપવામાં આવી હતી. આ ટ્રાયલમાં જાણવા મળ્યું કે ૬૦ વર્ષથી ઉપરના લોકોમાં કોવેકસીન  ૬૭.૮% પ્રભાવી છે. અને ૬૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો પર ૭૯.૪% પ્રભાવી છે.

ત્રીજા ફેઝની ટ્રાયલ દરમિયાન કુલ ૯૯ વોલેન્ટિયર્સમાં ગંભીર સાઈડ ઈફેકટ્સ પણ જોવા મળી.  જેમાંથી ૩૯ વોલેન્ટિયર્સ અસલ રસીવાળા અને ૬૦ પ્લેસિબોવાળા હતા. ત્રીજા ફેઝની ટ્રાયલમાં ભાગ લેનારા ૧૫ વોલેન્ટિયર્સના મોત પણ થયા છે. જેને લઈને કંપનીએ ભાર દઈને કહ્યું છે કે તેમાંથી કોઈ પણ વોલેન્ટિયરના મોતનું કારણ રસી કે પ્લેસિબોની આડઅસર નહતી. તેમાંથી ૫ વોલેન્ટિયર્સને અસલ રસી અને ૧૦ ને પ્લેસિબો અપાઈ હતી. આ સાથે જ મૃત્યુ પામનારામાંથી ૧૫ વોલેન્ટિયર્સમાંથી ૬ના મોત જ કોરોના સંક્રમણના કારણે થયા હતા. જેમાંથી એકને અસલ રસી અને પાંચને પ્લેસિબો અપાઈ હતી.

(10:05 am IST)