Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

પદ છોડ્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદના નિવાસસ્થાન અને તેમને ઉપલબ્ધ સુવિધાઓમાં ફેરફાર : રાષ્ટ્રપતિ કોવિંદના નિવાસસ્થાનનું નવું સરનામું હશે 12 જનપથ

આ સરકારી બંગલામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન રહેતા હતા: માસિક પેન્શનથી લઈને આજીવન ટ્રેન અને ફ્લાઈટ ટિકિટનો સમાવેશ થાય છે.

નવી દિલ્‍હી : આપણા દેશ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 માટે મતદાન 18 જુલાઈના રોજ થશે અને મત ગણતરી 21 જુલાઈએ થશે. દેશના પ્રથમ નાગરિક તરીકે ઓળખાતા રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આ મહિને પૂરો થશે.

પદ છોડ્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદના નિવાસસ્થાન અને તેમને ઉપલબ્ધ સુવિધાઓમાં ફેરફાર થશે. રાષ્ટ્રપતિ ભવન છોડતા પહેલા જ તેમના નવા નિવાસસ્થાનની ચર્ચા ખુબ થઈ રહી છે. ચાલો જાણીએ કે રાષ્ટ્રપતિનું પદ છોડયા પછી રામનાથ કોવિંદ ક્યા રહેશે અને તેમને ક્યા ક્યા લાભ થશે.

રાષ્ટ્રપતિ કોવિંદના નિવાસસ્થાનનું નવું સરનામું હશે 12 જનપથ. આ સરકારી બંગલામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન રહેતા હતા. દિલ્હીના સૌથી મોટા બંગલોમાં તેનો સમાવેશ થાય છે. એક અહેવાલ મુજબ, આ બંગલો 2020માં રામવિલાસ પાસવાનના નિધન બાદ ખાલી કરવામાં આવ્યો હતો. આ પછી લાંબા સમય સુધી અહીં રિનોવેશન ચાલ્યું. નવા રાષ્ટ્રપતિની પંસદગી બાદ રાષ્ટ્રપતિ કોવિંદ તેમાં રહેશે. જો કે આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. તેમના નવા નિવાસસ્થાનમાં એપ્રિલમાં રિનોવેશન કરવામાં આવ્યું હતું, જે હવે તેમના રહેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

નિવૃત્તિ પછી રાષ્ટ્રપતિને મળતી સુવિધાઓનો ઉલ્લેખ રાષ્ટ્રપતિ અધિનિયમ 1951માં કરવામાં આવ્યો છે. તેમને અનેક પ્રકારની સરકારી સુવિધાઓ આપવામાં આવે છે. તેમાં માસિક પેન્શનથી લઈને આજીવન ટ્રેન અને ફ્લાઈટ ટિકિટનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ એ તમામ સુવિધાઓ વિશે.

1.માસિક પેન્શન – નિવૃત્તિ પછી રાષ્ટ્રપતિને દર મહિને પેન્શન મળશે. પેન્શનની રકમ દર મહિને 5 લાખ રૂપિયા હશે.

2. સરકારી બંગલો- જે પણ સરકારી બંગલો રહેવા માટે આપવામાં આવશે, તે સંપૂર્ણ રીતે સજ્જ હશે.

3. સુરક્ષા અને સ્ટાફ- તેમની સુરક્ષાની દેખરેખ રાખવા માટે, 2 સચિવો અને 2 દિલ્હી પોલીસ કર્મચારીઓને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. આ સિવાય 5 લોકોનો પર્સનલ સ્ટાફ પણ રહેશે.

4. સુવિધાઓ – તેમના રહેઠાણ માટે 2 લેન્ડલાઈન, 1 મોબાઈલ અને 1 ઈન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત પાણી અને વીજળી વિનામૂલ્યે મળશે.

5. કાર અને ડ્રાઈવર- કાર અને ડ્રાઈવર પણ આપવામાં આવે છે. તેનો પગાર અને પેટ્રોલનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે છે. વાહન માટે દર મહિને 250 લિટર પેટ્રોલ આપવામાં આવશે.

6. જીવનભર ફ્રી ટિકિટ- ટ્રેન અને ફ્લાઈટમાં આજીવન ફ્રી ટિકિટ આપવામાં આવશે. આ સિવાય રાષ્ટ્રપતિની પત્નીને સચિવ સહાય તરીકે 30 હજાર રૂપિયા આપવામાં આવશે.

(6:54 pm IST)