Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

દિવાળી સુધી ગરીબોને મળશે વિનામુલ્યે અનાજ

વડાપ્રધાન મોદીએ કરી મોટી જાહેરાતઃ ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ : ગુજરાત સરકારની કામગીરી વખાણીઃ દાહોદ-રાજકોટના લાભાર્થીને પુછયું કે વચેટીયા હેરાન નથી કરતાં ને?

નવી દિલ્હી, તા.૩: રૂપાણી સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે આજે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં રાજયકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. એમાં દાહોદ અને રાજકોટના લાભાર્થીઓને આ યોજના લેવામાં કોઇ તકલીફ પડે છે કે નહીં, વચેટિયા હેરાન કરતા નથી ને એ અંગે પૂછ્યું હતું. મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદમાં જણાવ્યું હતું કે દિવાળી સુધી ગરીબોને મફત અનાજ મળશે. મોદીએ ગુજરાત સરકારની કામગીરીને વખાણી હતી.

ભારતે કોરોના સંક્રમણના પ્રથમ દિવસથી આ સંકટને સમજીને એના પણ કામ કર્યું. આજે વિશ્વભરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વખાણ થઇ રહ્યાં છે. આ યોજના પાછળ સરકાર દ્વારા ૨ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે. એનો હેતુ ભારતની એકપણ વ્યકિત ભૂખી ન સૂવે એ છે. આ યોજનામાં રાશન કાર્ડધારકોને પહેલાં કરતાં બેગણી માત્રામાં અનાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજના દિવાળી સુધી ચાલવાની છે.

ગુજરાતમાં સાડાત્રણ કરોડ લાભાર્થીને મફત અનાજનો લાભ મળી રહ્યો છે. આ માટે ગુજરાત સરકારની પ્રશંસા કરું છું. દેશના બીજા હિસ્સાના શ્રમિકોને પ્રાથમિકતા આપી છે. શ્રમિકોને આ યોજનાનો લાભ આપ્યો છે. ગુજરાતે સૌથી પહેલા વન નેશન વન રાશન કાર્ડનો લાભ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતનો વિકાસ નવી ઊંચાઇએ પહોંચ્યો છે. આજે ગુજરાતના લાખો પરિવારને પીએમ ગરીબ મફતમાં રાશન આપવામાં આવી રહ્યું છે. આ યોજના એક વર્ષથી ચાલી રહી છે, જેથી આ દેશનો કોઇપણ ગરીબ ભૂખ્યો ન સૂવે. ગરીબના મનમાં પણ એનાથી વિશ્વાસ ઊભો થયો છે.

ગુજરાતના એક મોટા ભાગમાં પાણી માટે મહિલાઓને ચાલીને જવું પડતું હતું. રાજકોટમાં પાણી માટે ટ્રેન મોકલવી પડતી હતી. પરંતુ આજે સરદાર સરોવર ડેમ, સૌની યોજના, કેનલોના નેટવર્કથી નર્મદાનું પાણી પહોંચી રહ્યું છે. જેના કારણે આજે ગુજરાત ૧૦૦ ટકા નળ સે જલ ઉપલ્બધ કરાવવામાં બહુ દૂર નથી. આ પરિવર્તન હવે આખો દેશ અનુભવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વડનગરના લાભાર્થી સાથે વાત કરતા નવી રેલવેસેવા અંગે અને વડનગરના વિકાસ અંગે વાતો કરી હતી. રેલવેમાં લાભાર્થીએ યાત્રા કરી છે કે નહીં, કેવો અનુભવ રહ્યો એ અંગે પૂછ્યું હતું. તેમણે દાહોદનાં દિવ્યાંગ લાભાર્થી વર્ષાબેન ભૂરિયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે અનાજ કલ્યાણ યોજના હેઠળ લાભ મેળવવામાં કોઇ સમસ્યા આવે છે કે નહીં એ અંગે પૂછ્યું હતું. દિવ્યાંગ સહાય તેમને મળે છે કે નહીં એ અંગે પણ તેમણે પૂછ્યું હતું.

વડાપ્રધાને રાજકોટના લાભાર્થી સાથે વાત કરી હતી અને અનાજ કલ્યાણ યોજના હેઠળ લાભ મળી રહે છે. આ યોજનાનો લાભ લેવામાં કોઇ તકલીફ પડી છે કે નહીં. એમાં લાભાર્થીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં આ યોજના હેઠળ અનાજ મળવાથી દ્યણી રાહત છે. નરેન્દ્રભાઇ મોદીએ આ તકે પોતે પહેલીવાર ધારાસભ્ય બન્યા એને યાદ કરીને રાજકોટની જનતાનો આભાર માન્યો હતો.

આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાજયના ૧૭ હજાર પંડિત દિનદયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી 'અન્નોત્સવ' અન્વયે ૪.૨૫ લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિતદીઠ ૫ કિલો અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ પણ આ કાર્યક્રમથી શરૂ કરવામાં આવી છે.

(3:42 pm IST)