Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ત્રિપુરામાં બીએસએફના જવાનો પર ઉગ્રવાદીનો હુમલો :બે જવાન શહીદ

બાંગ્લાદેશ સરહદને અડીને આવેલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનો પર આતંકવાદીઓએ હુમલો કર્યો

ત્રિપુરામાં બીએસએફ ના જવાનો પર થયેલા ઉગ્રવાદી હુમલામાં સુરક્ષા એજન્સીઓને ઉંઘ હરામ કરી દીધી છે. બાંગ્લાદેશ સરહદને અડીને આવેલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાનો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના બે જવાનો શહીદ થયા હતા. લાંબા સમય બાદ ઉગ્રવાદી સંગઠનોએ ત્રિપુરામાં સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો .બીએસએફના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશ સરહદને અડીને આવેલા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં બીએસએફના એક સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ શહીદ થયા હતા. બીએસએફના જણાવ્યા અનુસાર, બંને બહાદુર સૈનિકોએ ઉગ્રવાદી સામે કડક લડત આપી હતી. સ્થળ પર મળેલા લોહીના નિશાન પરથી એવું લાગે છે કે આ હુમલામાં આતંકવાદીઓ પણ ઘાયલ થયા છે. જોકે, તેઓ સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. વીરગતિ મેળવનાર બીએસએફના જવાનોની ઓળખ સબ ઇન્સ્પેક્ટર ભુરુ સિંહ અને કોન્સ્ટેબલ રાજકુમાર તરીકે થઈ છે.

બીએસએફના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારની સઘન શોધખોળ ચાલી રહી છે જેથી ઉગ્રવાદી પકડી શકાય. પરંતુ માહિતી અનુસાર, હુમલા બાદ એવું લાગે છે કે આતંકવાદીઓ બાંગ્લાદેશ સરહદ પાર કરીને ભાગી ગયા છે.પરંતુ તાજેતરના વર્ષોમાં ત્રિપુરામાં આતંકવાદી હુમલો થયો હોય તેવી આ પહેલી ઘટના છે. 80 અને 90 ના દાયકામાં નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (એનએલએફટી) અને ત્રિપુરા ટાઈગર ફોર્સ અહીં સક્રિય હોવા છતાં, સુરક્ષા દળોના ક્રેકડાઉન પછી બંને સંસ્થાઓનો સફાયો થઈ ગયો હતો. આ બંને સંગઠનો બાંગ્લાદેશની સરહદ પરથી કાર્યરત હતા અને ત્યાં તેમના કેમ્પ હતા. પરંતુ થોડા વર્ષો પહેલા બાંગ્લાદેશની સેનાએ પણ તેમની સામે કાર્યવાહી કરી હતી. ત્યારથી આ ઉગ્રવાદી સંગઠનો શાંત હતા. પરંતુ ફરી એક વખત એનએલએફટી ત્રિપુરામાં પગ ફેલાવવા માટે તૈયાર છે. એવું માનવામાં આવે છે કે આ સંગઠનો ઉત્તર-પૂર્વ રાજ્યોમાં કાર્યરત અન્ય આતંકવાદી સંગઠનોના સંપર્કમાં હોઈ શકે છે.

(8:31 pm IST)