Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી મોટાભાગની નદીઓ ભયજનક સપાટીએ : ગ્વાલિયર -ચંબલના 1171 ગામો પાણીમાં ગરકાવ

સાગર મડીખેડા ડેમના ૧૦ ગેટ ખોલાયા: શિવપુરી, ગ્વાલિયર, ભિંડ અને દતિયામાં ગામો પાણીમાં ડૂબ્યા: શિવપુરી પાસે ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પણ પાણીમાં : રેલસેવા ખોરવાઈ : કેટલીક ટ્રેનો રદ કરાઈ

dir="ltr">
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે પાર્વતી, કૂનો, ક્વારી અને સિંધ નદી જોખમી સ્તરે વહી રહી છે. વરસાદને કારણે સિંધ નદીનું જળસ્તર વધવાને કારણે શિવપુરી જીલ્લામાં અટલ સાગર મડીખેડા ડેમના 10 ગેટ ખોલવામા આવ્યા હતા.
 એક એહવાલ અનુસાર, જો ડેમથી વધુ પાણી છોડવામા આવશે તો પણ સ્થિતિ બગડી શકે છે. સોમવાર રાતે 8 ગેટ ખોલવામા આવ્યા હતા. જેના કારણે મંગળવાર સવારથી શિવપુરી, ગ્વાલિયર, ભિંડ અને દતિયા જીલ્લાની સ્થિતિ બગડી હતી. ઘણા ગામમાં પાણી ભરાયું હતું. જે પછી પણ બાકીના 2 ગેટ ખોલવામા આવ્યા હતા.
શિવપુરી પાસે ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પણ પાણીમાં ડૂબ્યા હતા. બંને ટ્રેક પર પહાડો પરથી વહેતા ઝરણાને કારણે રેલવે ટ્રેક ડૂબ્યો હતો. આ કારણે ગ્વાલિયર-ઈન્દોર ઈન્ટરસિટી એક્સપ્રેસ પાડરખેડા રેલવે સ્ટેશને 15 કલાક ઉભી રહી હતી. રેલવે દ્વારા પહેલા ટ્રેન રદ્દ કરવામા આવી હતી, પછી પાણી થોડું ઉતરતા ટ્રેન રવાના કરવામા આવી હતી. ગ્વાલિયરથી શિવપુરી વચ્ચે મોહના પર પાર્વતી નદીનું જળસ્તર વધવાથી લોકો રોડ માર્ગે પણ ગ્વાલિયર પરત ફરી શકે તેમ નહોતા. સવારે જ અહીં ફસાયેલી એક બસને તંત્ર અને પોલીસ બહાર નીકાળી હતી.
મધ્યપ્રદેશમાં વરસાદે તેનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ગ્વાલિયર, ચંબલના 1171 ગામો પાણીમાં ડૂબી ગયા છે. શિવપુરી અને શ્યોપુર જિલ્લામાં, છેલ્લા 24 કલાકમાં 800 મીમી વરસાદ પડતા જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ છે. આવી પરીસ્થિતિમાં 1600 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂરની સ્થિતિને લઈને આપત્કાલિન બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્ટેટ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાંથી પૂરની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂરગ્રસ્ત જિલ્લાઓની હાલની પરિસ્થિતિની માહિતી મેળવી અને જરૂરી નિર્દેશો આપ્યા છે. અહીં, NDRF અને SDRF તેમજ હવાઈ દળના અધિકારીઓ પાસે બચાવ કામગીરી માટે માહિતી લેવામાં આવી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, 'હું ગઈકાલથી સતત તમામ લોકોના સંપર્કમાં છું. ગઈકાલથી રાહત કાર્ય શરૂ છે. બચાવ માટે NDRF અને એરફોર્સની ટીમોની મદદ લેવામાં આવી છે.
(11:57 pm IST)