Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

દિલીપ કુમારના નાના ભાઇનું કોરોનાને કારણે નિધનઃ ૧૨ દિવસમાં બે ભાઇ ગુમાવ્યાં

૧૨ દિવસમાં આ પરિવારમાં બે ભાઇના નિધનથી તમામ લોકો ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યા છે

મુંબઈ, તા.૩: બોલિવૂડનાં એકટર દિલીપ કુમારનાં નાના ભાઇનું કોરોના વાયરસનાં સંક્રમણને કારણે મૃત્યું નિપજયું છે. દિલિપ કુમારના ભાઇ એહસાન ખાનનું બુધવારે રાત્રે ૧૧ વાગ્યે નિધન થયું હતું. તેઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. અહેસાન ખાન ૯૦ વર્ષનાં હતા.

એહસાન ખાનની કોવિડની સાથે હૃદય રોગ, હાઇ બ્લડ પ્રેશર અને અલ્ઝાઇમરની બીમારીઓની પણ સારવાર ચાલી રહી હતી. ૧૨ દિવસમાં આ પરિવારમાં બે ભાઇના નિધનથી તમામ લોકો ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યા છે.

ગત ૨૧ ઓગસ્ટના રોજ દિલિપ કુમારના નાના ભાઇ અસલમ ખાનનું પણ કોરોનાની સારવાર દરમિયાન મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતું. આમ ૧૫ દિવસમાં દિલિપ કુમારના બે ભાઇઓના મૃત્યું થતાં તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. એહસાન ખાન અને અસલમ ખાનને ગત ૧૫ ઓગસ્ટે સાથે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

(10:34 am IST)