Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મથુરાઃ કૃષ્ણ મંદિરમાં મુસ્લિમ યુવકોએ નમાઝ અદા કરતા વિવાદઃ ૪ સામે ફરિયાદ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે મંદિરમાં નમાઝની તસવીર

મથુરા, તા.૩: મથુરાના નંદ બાબા મંદિરમાં મુસ્લિમ યુવકોએ નમાઝ અદા કરવાની ઘટનાને લઈને વિવાદ સર્જાયો છે. આ ઘટનાની તસવીરો વાયરલ થતાં જ ભાજપ સરકારના મંત્રી શ્રીકાંત શર્મા અને મોહસિન રજાએ તેને વાજબી ન ઠેરવીને માહોલ બગાડવાનું કાવતરું ગણાવ્યું છે. તો બીજી તરફ આરોપી યુવકોએ ખુલાસો આપતા કહ્યું કે મંદિરમાં દર્શન દરમિયાન નમાઝ અદા કરવાનો સમય થઈ જતાં આવું કર્યું.

આ ઘટના બરસાનાના નંદગાંવમાં આવેલા નંદ મહેલ નંદ ભવન મંદિરની છે. મંદિરમાં નમાઝ અદા કરવામાં આવતા હોવાની તસવીરો અંગે મંદિરના મંત્રી કાન્હા ગોસ્વામીએ કહ્યું કે, ૨૯ ઓકટોબરના રોજ ૪ યુવકો નંદગાંવ મંદિરે આવ્યા હતા, જેમાંથી એક યુવકના માથામાં ટોપી હતી. મંદિરમાં ટોપી પહેરેલા યુવાનને જોઈને અમે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ટોપી પહેરીને મંદિર આવતાં ફૈઝલે પુજારીને કહ્યું: 'શું કૃષ્ણ તમારા જ છે? કૃષ્ણ આપણા બધાના છે. અને ફૈઝલે પૂજારી કાન્હા અને ત્યાં હાજર લોકોને રામાયણની કેટલીક ચૌપાઈ પણ સંભળાવી હતી. આ અંગે દિલ્હીના રહેવાસી યુવકોએ જણાવ્યું હતું કે તેઓ સાયકલથી બ્રિજ ચૌરાસી કોસની મુસાફરી કરવા માટે આવ્યા છે. દર્શન કર્યા બાદ મંદિરના પૂજારીએ પ્રસાદ આપ્યો અને તે પછી ચારેય યુવક મંદિર પરિસરમાં ફરતા-ફરતા આગળ જતા રહ્યા.

નંદ ભવન પહોંચેલા એક યુવકે પોતાની ઓળખાણ દિલ્હીના રહેવાસી ફૈઝલ ખાન તરીકે કરી હતી. તેણે બધાને કહ્યું કે તે પણ પ્રખ્યાત કવિની જેમ જ ભગવાન કૃષ્ણ પ્રત્યે ખૂબ આદર ધરાવે છે અને તેને લઈને જ તે બ્રજ ચૌરાસી કોસની યાત્રા કરી રહ્યો છે. યાત્રા દરમિયાન પણ તે તમામ તીર્થસ્થળોની મુલાકાત લઈ રહ્યો છે. યુવકને કહ્યું કે, અમે મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે જ નમાઝનો સમય થઈ ગયો. જેથી અમે ત્યાં જ નમાઝ અદા કરી.'

ભગવાન કૃષ્ણની નગરી મથુરામાં મંદિરમાં નમાઝ અદા કરવાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. મંદિરમાં નમાઝ અદા કરતી તસવીરો સામે આવતા હિન્દુવાદી નેતા અને મંદિરના અન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે, કોમી એકતા મંચના લોકોએ આને ભાઈચારાની મિસાલ કહ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, મંદિરની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે આરોપી ફૈઝલ ખાન, તેના મુસ્લિમ મિત્ર અને બે હિન્દુ સાથીઓ પર ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવા, ધાર્મિક સંપ્રદાયોમાં વૈમનસ્ય ફેલાવવા, સમાજમાં ડર પેદા કરવા અને પૂજાસ્થળને અપમાનિત કરવા જેવા આરોપો પર કેસ દાખલ કર્યો છે.

(9:54 am IST)