Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જન્મદિવસે શાહરૂખ મન્નતથી ગાયબ, ફેન્સ નિરાશ થયા

અભિનેતા અને તેનો પરિવાર અલીબાગના ફાર્મહાઉસમાં : સોમવારે મોડી રાતે શાહરૂખના ઘર બહાર ફેન્સની ભીડ

મુંબઈ, તા.૨ : દર વર્ષે, શાહરૂખ ખાનના બર્થ ડે પર તેના સેંકડો ફેન્સ તેના બંગલો 'મન્નત' બહાર ઉમટતા હોય છે અને સેલિબ્રેશનમાં જોડાતા હોય છે. ફેન્સ શાહરૂખ માટે કંઈકને કંઈક ગિફ્ટ પણ લાવે છે અને કેક પણ કટ કરે છે. શાહરૂખ પણ તેના ઘરથી બાલ્કનીમાંથી બહાર આવીને ફેન્સનું અભિવાદન ઝીલે છે. જો કે, આજે આવું કંઈ થવાનું નથી.

બાંદ્રા ઝોનના એસીપી, જેઓ મંગળવારે સવારે 'મન્નત' ખાતે તહેનાત હતા તેમણે મીડિયા કર્મચારીઓ અને ફેન્સને એક્ટરના ઘરના આઈકોનિક બ્લેક ગેટ પર ભેગા થતા અટકાવ્યા હતા.

પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે, તેમને શાહરૂખની મેનેજર પૂજા દદલાની તરફથી મેસેજ મળ્યો છે અને તેમાં જણાવ્યું છે કે, એક્ટર તેના દીકરા આર્યન ખાન તેમજ પરિવાર સાથે અલીબાગમાં આવેલા તેના ફાર્મહાઉસમાં છે.

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ જેલમાંથી દીકરાના બહાર આવ્યા બાદ પરિવાર સાથે અલીબાગના ફાર્મહાઉસમાં સમય પસાર કરવા ઈચ્છતો હોવાના રિપોર્ટ્સના દાવાના એક દિવસ બાદ આ ખબર સામે આવી છે.

સોમવારે મોડી રાતે શાહરૂખ ખાનના ઘર બહાર ફેન્સની ભીડ એકઠી થઈ હતી. તેઓ લાંબા સમય સુધી શાહરૂખના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા. જો કે, તેમ ન થતાં તેઓ નિરાશ થઈને પરત ફર્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે, આર્યન ખાન હાલમાં જ જેલમાંથી બહાર આવ્યો હોવાથી શાહરૂખ તે થોડો આરામ કરે તેમ ઈચ્છે છે.

અને તેથી જ તેણે ઈન્ડસ્ટ્રીના નજીકના મિત્રોને તેના બર્થ ડે પર મન્નત ન આવવા માટે કહ્યું હતું. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારથી મન્નતમાં ચિંતા અને તણાવનો માહોલ હતો.

શાહરૂખ અને ગૌરીએ જાગીને રાતો પસાર કરી હતી. જ્યારે આર્યનને જામીન મળ્યા ત્યારે પરિવારમાં વાતાવરણ હળવું થયું હતું અને ખુશીમાં 'મન્નત'ને લાઈટિંગથી શરગારવામાં આવ્યું હતું.

પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, શાહરૂખ 'પઠાણ' ફિલ્મમાં જોવા મળવાનો છે. જેમાં તેની સાથે દીપિકા પાદુકોણ છે. દીકરાની ધરપકડ બાદ એક્ટર ફિલ્મનું શૂટિંગ કરવાનું ટાળ્યું હતું. જો કે, હવે તે ફરીથી શૂટિંગ શરૂ કરશે

(12:00 am IST)