Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

અદાણી મુદ્દે કોંગ્રેસના સાંસદ શકિતસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કર્યા: જેપીસી રચવાની માંગણી કરી

તેમણે આ ઘટનાને મોટો ફ્રોડ સાથે સરખાવી કહ્યું કે લોકો એલઆઇસીના નાણાં ભરે છે અને કોઇના કહેવાથી એલઆઇસી રોકાણ કરે છે. જે લોકો સાથે મોટો વિશ્વાસઘાત છે

 દિલ્હી : ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે.છેલ્લા 10 દિવસોમાં તેમની સંપત્તિમાંથી 52 અબજ ડૉલરની મોટી રકમ ધોવાઈ ગઇ હતી અને હજુ આ સિલસિલો યથાવત્ છે. ત્યારે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શકિતસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં તેમણે આ ઘટનાને મોટો ફ્રોડ સાથે સરખાવી છે. તેમજ કહ્યું કે લોકો એલઆઇસીના નાણાં ભરે છે અને કોઇના કહેવાથી એલઆઇસી રોકાણ કરે છે. જે લોકો સાથે મોટો વિશ્વાસઘાત છે. જેના લીધે અમારી માગ છે આ મુદ્દે જોઇન્ટ પાર્લામેન્ટ્રી કમિટીની(JPC) રચના કરવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌતમ અદાણી દુનિયાના ધનિકોની યાદીમાં પણ તેઓ બીજા ક્રમેથી સીધા સરકીને 21મા ક્રમે આવી ગયા છે અને નીચે પડકાવવાનો આ સિલસિલો હજુ પણ યથાવત્ છે. રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગના અહેવાલ બાદથી અદાણી ગ્રૂપની મોટાભાગની કંપનીઓની હાલત દયનીય થઈ ચૂકી છે.તાજેતરમાં Dow Jones Index દ્વારા અદાણીના શેરોને બહાર કરવાનો અહેવાલ જાહેર થયા બાદ અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં 35 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. કંપનીના સ્ટૉક 35 ટકાના કડાકા સાથે 1,017.45ના નીચલા સ્તરને સ્પર્શી ગયા હતો.જો કે બાદમાં શેરમાં ઉછાળો આવ્યો.

 

(12:00 am IST)