Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

બંગાળમાં હિંસા વિરૂધ્ધ ભાજપે કાલે દેશવ્યાપી ધરણાની કરી જાહેરાત

ભાજપનો દાવો છે કે તેના આશરે છ કાર્યકર્તા અને સમર્થકોના મોત થયા છે, જેમાં એક મહિલા પણ સામેલ છે : ભાજપ તેનો આરોપ ટીએમસી પર લગાવી રહી છે

નવી દિલ્હી,તા.૪: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ રાજયમાં થઈ રહેલી હિંસક ઘટનાઓને લઈને ભાજપે મોટી જાહેરાત કરી છે. ભાજપે પાંચ મેએ દેશવ્યાપી ધરણાના કાર્યક્રમનું એલાન કર્યુ છે. મહત્વનું છે કે ભાજપનો આરોપ છે કે રાજયમાં ટીએમસીના કાર્યકર્તા અને તેના તેમની પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલા કરી રહ્યાં છે, જેમાં અનેક લોકોના મોત થયા છે.

આ સિવાય ગઇ કાલે પણ રાજયમાં મોટા પાયે હિંસા જોવા મળી, જેમાં કથિત રીતે ઘર્ષણ અને દુકાનો લૂંટવા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓના મોત થયા છે. બંગાળમાં ચૂંટણી પરિણામ જાહેર થયાના ૨૪ કલાકમાં ભાજપના ૯ કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજય સરકાર પાસે વિપક્ષી કાર્યકર્તાઓ પર હુમલાની દ્યટનાનો તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે. ભાજપે એક પાર્ટી ઓફિસમાં આગનો વીડિયો શેર કર્યો છે, જેમાં આગ લાગતી જોવા મળી રહી છે. જયાં પરેશાન લોકો રાડો પાડતા ભાગતા જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર મૃત વ્યકિતઓની તસવીર અને એક દુકાનમાંથી કપડા લૂંટી ભાગતા લોકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ભાજપનો દાવો છે કે તેના આશરે છ કાર્યકર્તા અને સમર્થકોના મોત થયા છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. ભાજપ તેનો આરોપ ટીએમસી પર લગાવી રહી છે. ભાજપે પત્રકારો સાથે એક વીડિયો શેર કર્યો જેમાં નંદીગ્રામમાં પાર્ટી ઓફિસમાં થયેલી તોડફોડને દેખાડવામાં આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ સીટ પર સુવેંદુ અધિકારી સામે ચૂંટણી હારી ગયા હતા. રાજયપાલ જગદીપ ધનખડે પ્રદેસના ગૃહ સચિવ, રાજયના પોલીસ વડા અને કોલકત્ત્।ાના પોલીસ કમિશનરને બોલાવી રાજયમાં શાંતિ સ્થાપવા માટે કહ્યુ છે.

રાજયમાં હિંસાની ઘટના બાદ મૃત્યુ પામેલા ભાજપના કાર્યકર્તાના પરિવારજનોની મુલાકાત માટે ભાજપ અધ્યક્ષ ૪ અને ૫ મેએ બંગાળના પ્રવાસે જઈ રહ્યા છે. ભાજપે ટ્વીટ કરી કહ્યું- ચૂંટણી પરિણામ આવ્યા બાદ ટીએમસી કેડર દ્વારા કરવામાં આવેલી ભારે હિંસા દરમિયાન માર્યા ગયેલા અને ઈજાગ્રસ્ત થયેલા કાર્યકર્તાઓને મળવા માટે જેપી નડ્ડા ૪-૫ મેએ રાજયનો પ્રવાસ કરશે.

(10:51 am IST)