Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

હૈદરાબાદના પ્રાણી સંગ્રહાલયમાં ૮ સિંહોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

જંગલી પ્રાણીને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનો ભારતમાં પ્રથમ કિસ્સો બહાર આવ્યો : આઠેય સિંહોનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યોઃ હાલમાં જ ઝૂના ૨૫ કર્મચારીઓને કોરોના થતાં તેમનાથી સિંહોને પણ ચેપ લાગ્યો હોવાનું અનુમાન : હાલ દેશના તમામ નેશનલ પાર્ક અને અભયારણ્યો બંધ કરી દેવામાં આવ્યા :અગાઉ ન્યૂયોર્કમાં વાદ્ય-સિંહ જયારે હોંગકોંગમાં કૂતરા બિલાડામાં દેખાયો હતો વાયરસ

હૈદરાબાદ, તા.૪: હવે કોરોના માણસોમાંથી પ્રાણીઓમાં પણ ફેલાઈ રહ્યો છે. દેશમાં નોંધાયેલા સૌપ્રથમ કેસમાં હૈદરાબાદના નેહરુ ઝુલોજિકલ પાર્કમાં રખાયેલા આઠ એશિયાટિક સિંહોનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઝૂના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા છે. સૂત્રોનું માનીએ તો, ૨૯ એપ્રિલે આઠેય સિંહોનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ હોવાનું કન્ફર્મ થયું હતું.

ઝુના કયૂરેટર અને ડિરેકટર ડો. સિદ્ઘાનંદન કુકરેટીએ આ બાબતનું ના તો સમર્થન કર્યું હતું, કે ના તો તેને માનવાનો ઈનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સિંહોમાં કોરોનાના લક્ષણ દેખાયા હતા. જોકે, તેમનો રિપોર્ટ હજુ ઝુને મળ્યો નથી, જેથી હાલ તેને જોયા વિના પોતે કંઈ કહી ના શકે તેમ તેમણે જણાવ્યું હતું. હાલ તમામ સિંહોની તબિયત સારી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હૈદરાબાદના ઝૂમાં કામ કરતાં પશુઓના ડોકટરોને સિંહોમાં કોરોનાના લક્ષણ દેખાયા હતા. આ સિંહો અશાંત લાગી રહ્યા હતા, તેમના નાકમાંથી સતત પ્રવાહી નીકળી રહ્યું હતું, અને તેમને ઉધરસ આવી રહી હતી. ૪૦ એકરના સફારી એરિયામાં દસેક વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા ૧૨ સિંહો અહીં રાખવામાં આવ્યા છે. જેમાંથી ચાર માદા અને ચાર નરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સિંહોનું વર્તન અજૂગતું લાગતા તેમનો RT-PCR રિપોર્ટ કરવાનું નક્કી કરાયું હતું. તેમના ગળાના હાડકાં પાસેથી સ્વેબ સેમ્પલ લેવાયા હતા. સિંહોના સેમ્પલનું જેનોમ સિકવન્સિંગ કરવાની પણ તૈયારી ચાલી રહી છે. જેનાથી સિંહોને માણસમાંથી આ વાયરસનો ચેપ લાગ્યો કે કેમ તે જાણી શકાશે.

હૈદરાબાદના વાઈલ્ડલાઈફ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટરના ડિરેકટર ડો. શિરિષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ગયા વર્ષે ન્યૂયોર્કના ઝૂમાં રખાયેલા આઠ વાદ્ય અને સિંહોને કોરોનાનો ચેપ લાગી ગયો હતો. જોકે, ત્યારબાદ દુનિયામાં કયાંય જંગલી પ્રાણીને કોરોના થયો હોવાની કોઈ વિગતો બહાર નહોતી આવી. પરંતુ હોંગકોંગમાં કૂતરા અને બિલાડામાં આ વાયરસ મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, માણસમાંથી પ્રાણીઓમાં કોરોના વાયરસ ના પ્રસરે તે માટે દેશમાં ૩૦ એપ્રિલે જ તમામ નેશનલ પાર્ક અને અભયારણ્યો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હૈદરાબાદનું ઝૂ પણ માણસોની ગીચ વસ્તી વચ્ચે આવેલું છે. તેને પણ ૩૦ એપ્રિલે જ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઝૂમાં કામ કરતાં ૨૫ કર્મચારીઓને પણ હાલમાં જ કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમાંથી જ કોઈના દ્વારા સિંહોના શરીરમાં પણ આ વાયરસ પ્રવેશી ગયો હોવાનું મનાઈ રહ્યું છે.

(3:25 pm IST)