Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

GSTના વિરોધમાં વેપારીઓની નાણાંમંત્રી સમક્ષ ઉગ્ર રજૂઆત

પેક-લેબલ કરેલી ખાદ્ય વસ્તુ પર જીએસટી સામે વિરોધ : પ્રી-પેક, પ્રી-લેબલ દહીં, લસ્સી અને બટર મિલ્ક સહિત પ્રી-પેકેજ અને પ્રી-લેબલ રિટેલ પેક પર હવે જીએસટી કર લાગશે

નવી દિલ્હી, તા.૪ : જીએસટી કાઉન્સિલ દ્વારા હાલમાં જ યોજાયેલી પોતાની મીટિંગમાં પેક કરેલા અથવા લેબલ લગાવેલી બધા પ્રકારની ખાદ્ય ચીજો અને કેટલીક અન્ય વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાની ભલામણ પર દેશના ખોરાકના વેપારીઓમાં ખૂબ જ રોષ અને આક્રોશ છે અને કાઉન્સિલના આ પગલાને નાના નિર્માતાઓ અને વેપારીઓના હિતોની વિરુદ્ધ હોવાનું ગણાવ્યું છે. તેનાથી સામાન્ય ચીજવસ્તુઓની કિંમત પર મોટી બ્રાન્ડનો વેપાર વધશે. અત્યાર સુધી બ્રાન્ડેડ ન હોવાથી વિશેષ ખાદ્ય ચીજો, અનાજ વગેરેને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. કાઉન્સિલના આ નિર્ણયથી પ્રી-પેક, પ્રી-લેબલ દહીં, લસ્સી અને બટર મિલ્ક સહિત પ્રી-પેકેજ અને પ્રી-લેબલ રિટેલ પેક પર હવે જીએસટી કર લાગશે અને દેશભરમાં ૬૫૦૦થી વધુ અનાજ માર્કેટમાં અનાજના વેપારીઓના વેપારમાં મોટી અડચણ ઉભી થશે. આ વિષય પર અનાજ વેપારી, નાણા મંત્રી નિર્મલા સીતારમન અને કેન્દ્રીય પરોક્ષ કર બોર્ડના અધ્યક્ષ વિવેક ઝોહરી મળ્યા હતા અને આ નિર્ણય પર ફરીથી વિચાર કરવાનો આગ્રહ કરશે. 

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે આજે નવી દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, આજથી શરૃ થયેલા સપ્તાહમાં આ મુદ્દે દેશના બધા રાજ્યોના નાણામંત્રીને તેમના રાજ્યોના અનાજ અને અન્ય ચીજ વસ્તુઓના વેપારીઓ એક નોટિસ આપીને આ નિર્ણયને પરત લેવાની માગ કરશે. પત્રકાર પરિષદમાં દિલ્હી ગ્રેન મર્ચેટ્સ એસોસિએશનના અધ્યક્ષ નરેશ ગુપ્તા અને પ્રદીપ જિંદલે જણાવ્યું કે, આ સબંધે દેશભરના અનાજ વેપાર સંગઠનો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને બધા સગંઠનો આ નિર્ણયથી ખૂબ જ આક્રોશમાં છે. ભરતીયા અને ખંડેલવાલે કહ્યું

કે, નિશ્ચિત રૃપથી જીએસટી કર સંગ્રહમાં વૃદ્ધિ થવી જોઈએ પરંતુ સામાન્ય લોકોની વસ્તુઓને કર સ્લેબમાં લાવવાને બદલે ટેક્સનો દાયરો મોટો કરવો જોઈએ. જેના માટે જે લોકો અત્યાર સુધી ટેક્સ નેટ હેઠળ આવ્યા નથી તેમને ટેક્સ નેટ હેઠળ લાવવા જોઈએ જેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવકમાં વધારો થશે. તેમણે કહ્યું કે, આઝાદી બાદ ક્યારેય પણ ખાદ્યપદાર્થો પર કોઈ ટેક્સ નહોતો લાગ્યો પરંતુ પહેલીવાર મોટા બ્રાન્ડેડ અનાજને ટેક્સના દાયરામાં લાવવામાં આવ્યા છે.

શું કારણ હતું કે, તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ ૨૦૧૭માં આ આવશ્યક ચીજવસ્તુઓને ટેક્સની બહાર રાખી અને હવે શું થયું છે કે, આ મૂળભૂત વસ્તુઓ પર ટેક્સ લગાવવો પડ્યો.

ભરતીયા અને ખંડેલવાલે આ વસ્તુઓને ૫% ટેક્સ દાયરામાં રાખવાના તર્ક પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે દેશની તમામ મોટી બ્રાન્ડ કંપનીઓ દેશની વસ્તીના માત્ર ૧૫% છે જેમાં ઉચ્ચતમ વર્ગ, ઉચ્ચ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોની જ જરૃરિયાતો પૂરી કરે છે જ્યારે મોટા પાયા પર દેશના તમામ રાજ્યોમાં નાના ઉત્પાદકો જેનું પોતાનું સ્થાનિક લેબલ ધરાવતા દેશની ૮૫ ટકા વસ્તીની માંગને સંતોષે છે.

આ નિર્ણય પ્રમાણે હવે જો કોઈ કિરાણા દુકાનદાર પણ અનાજ પોતાની ચીજવસ્તુઓના માત્ર ઓળખ માટે જ કોઈ માર્ક સાથે પેક કરીને વેચે તો તેને તે ચીજવસ્તુ પર જીએસટી ચૂકવવી પડશે. આ નિર્ણય બાદ પનીર, છાશ, પેકેજ્ડ દહીં, ઘઉંનો લોટ, અન્ય અનાજ, મધ, પાપડ, અનાજ, માંસ અને માછલી (ફ્રોઝન સિવાય), ગોળ વગેરે જેવા પ્રી-પેકેજ લેબલવાળા કૃષિ ઉત્પાદનો પણ મોંઘા થશે. આ વસ્તુઓનો ઉપયોગ દેશનો સામાન્ય માણસ કરે છે.

(7:57 pm IST)