Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ડીજી એચ.કે. લોહિયાની હત્યા કરનારા નોકરને પોલીસે ઝડપી લીધો

જમ્મુ-કાશ્મીરના જેલ ડીજીની હત્યાનો મામલો : લશ્કર-એ-તૈયબાના સંગઠન ટીઆરએફે આ હત્યાની જવાબદારી લીધી છે, જો કે, પોલીસ આ હાલ તો આ ઘટનાને આતંકી ઘટના માની રહી નથી

નવી દિલ્હી , તા.૧૦ : જમ્મુ-કાશ્મીરમાં જેલના ડીજી એચ.કે.લોહિયાનની હત્યા બાદ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. લશ્કર-એ-તૈયબાના સંગઠન ટીઆરએફે આ હત્યાની જવાબદારી લીધી છે. જો કે, પોલીસ આ હાલ તો આ ઘટનાને આતંકી ઘટના માની રહી નથી. હત્યાનેઅંજામ આપનારો બીજો કોઈ નહીં પણ યાસિર અહમદ છે. જે તેમના ઘરે નોકર તરીકે કામ કરતો હતો. ત્યારે યાસિર અહેમદને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે જણાવ્યું કે, યાસિર અહેમદ વ્યવહારમાં ખૂબ જ આક્રમક હતો. જો કે, મૃતક ડીજી પોતાના નોકર યાસિર અહેમદ પર ખૂબ જ વિશ્વાસ કરતા હતા. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું યાસિર ડીજી એચ.કે.લોહિયાની સાથે કોઈ સિક્રેટ મિશન પર હતો. શું આ આતંકી ઘટના છે?

કહેવામાં આવી રહ્યું છે કે ડીજી એચ.કે. લોહિયા પર ખૂબ જ વિશ્વાસ કરતા હતા. જમ્મુમાં પોસ્ટેડ એચ.કે.લોહિયા શ્રીનગરમાં પોતાના મિત્ર રાજીવ ખજૂરિયાના ઘરે ગયા હતા. આ દરમિયાન કોઈ વાતચીતને લઈને વિવાદ થઈ ગયો હતો અને એ પછી યાસિર અહેમદે તેમની હત્યા કરી નાખી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ યાસિર નીચે આવ્યો અને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. જ્યારે તે ત્યાંથી ફરાર થઈ રહ્યો હતો ત્યારે એક બીજા નોકરે પૂછ્યું તો તેણે જણાવ્યું કે સાહેબ સૂઈ રહ્યા છે. જો કે, જે રીતે આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે એને જોતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ, ડીજી લોહિયાની હત્યાની જવાબદારી આતંકી સંગઠન ટીઆરએફે લીધી છે. તો શું ખરેખરમાં યાસિર કોઈ સિક્રેટ મિશન પર હતો, એ સવાલ પણ થઈ રહ્યો છે. શું તે કોઈ આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો. ખેર, હાલ તો પોલીસ આ સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ છે. ૨૨ વર્ષના યાસિર અહેમદને હાલ ઝડપી પાડવામાં આવ્યો છે. યાસિર રામબણનો રહેવાસી હતો. આ જગ્યાને જમ્મુ અને શ્રીનગરનનો ગેટવે પણ કહેવામા આવે છે.

જમ્મુના એડીજીપી મુકેશ સિંહ ડીજી લોહિયાની હત્યા પાછળ આતંકી એન્ગલ હોવાનો ઈનકાર કર્યો છે. તેઓએ જણાવ્યું કે, શરુઆતી તપાસમાં હાલ તો આતંકી એન્ગલ જોવા મળી રહ્યો નથી. જો કે, કોઈ આશંકાથી ઈનકાર કરી શકાય એમ નથી. તો આ ઘટનાનો મુખ્ય આરોપી તેમનો નોકર યાસિર અહેમદ છે. શરુઆતી તપાસમાં જાણવા મળ્યું કે તે ખૂબ જ આક્રમક હતો અને સૂત્રોના જણાવ્યા મુજબ તે ડિપ્રેશનમાં હતો.ડીજીની હત્યા બાદ હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે પોલીસ ભલે આતંકી એન્ગલનો ઈનકાર કરી રહી હોય પણ ટીઆરએફના દાવાથી કેટલાંક સવાલો ઉઠી રહ્યા છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંગઠન ટીઆરએફે અમિત શાહની મુલાકાત પહેલાં એક લેટર જારી કરીને કહ્યું હતું કે આ ગિફ્ટ છે. ત્યારે એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે શું યાસિર કોઈ આતંકી સંગઠનનો સભ્યો હતો? ખેર, હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ સમગ્ર હત્યાકાંડનું રહસ્ય સામે આવશે. એડીજીપી સિંહે કહ્યું કે, યાસિરે હત્યા માટે જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તે કબજે કરવામાં આવ્યું છે. આરોપીની એક ડાયરી પણ મળી છે. જેનાથી તેની માનસિકતાની જાણ થાય છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(7:23 pm IST)