Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ધાર્મિક ભાવનાઓના અપમાનના કેસમાં ઇન્દોર જેલમાં બંધ કોમેડિયન મુનવ્વર ફારૂકીને સુપ્રિમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા

ધાર્મિક ભાવનાઓના અપમાનના કેસમાં ઈન્દોર જેલમાં બંધ કોમેડિયન મુનવ્વર ફારૂકીને સુપ્રીમ કોર્ટે વચગાળાના જમાનત આપી દીધા છે.

તે સાથે જ જસ્ટિસ રોહિંટન ફલી નરીમનની બેન્ચે મધ્ય પ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે.

સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, આરોપો ઉપર ફારૂકીના નિવેદન અને તેમના તર્ક અસ્પષ્ટ છે. સાથે જ કોર્ટે તે પણ માન્યું છે કે, ધરપકડ માટે સીઆરપીસીની 41 કલમ (વોરંટ વગર ધરપકડ)નું પાલન કરવામાં આવ્યું નથી.

તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના પ્રોડક્શન વોરંટ ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

શું છે કેસ

1 જાન્યુઆરીએ ઈન્દોર પોલીસે કથિત રીતે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાના આરોપમાં પાંચ કોમેડિયનોની ધરપકડ કરી હતી. જેમાં મુનવ્વર ફારૂકી પણ સામેલ હતા.

ફારૂકી સાથે જે ચાર અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી, તેમના નામ છે- એડવિન એનથોની, પ્રખર વ્યાસ, પ્રીયમ વ્યાસ અને નલિન યાદવ.

ફારૂકીના કાર્યક્રમમાં ભાજપાના ધારાસભ્ય માલિની ગૌડના પુત્ર એકલવ્ય સિંગ ગૌડ પણ પહોંચ્યા હતા. ગૌડે કહ્યું હતુ કે, તેઓ તેમના મિત્રો સાથે આ શોમાં ગયા હતા અને આ દરમિયાન ફારૂકીએ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. ગૌડ, હિન્દુ રક્ષક સંસ્થાના કન્વીનર પણ છે.

(4:49 pm IST)