Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

તામિલનાડુ - કેરળ - પ. બંગાળના પરિણામોથી વધશે મોદી સરકારની પરેશાનીઃ વિપક્ષ ધોકા પછાડશે

સંસદના સત્રમાં પણ સરકારને શિંગડા ભરાવશે વિપક્ષો

નવી દિલ્હી તા. ૪: પશ્ચિમ બંગાળમાં ટીએમસી, કેરળમાં ડાબેરી મોરચો અને તમિલનાડુમાં દ્રમુક ગઠબંધનની શાનદાર જીતથી બીન કોંગ્રેસી અને બીન ભાજપી વિપક્ષો વધુ મજબુત બનાવવાની શકયતા છે. જીએસટી પરિષદ જેવા મંચોમાં આમ થવું નકકી છે પણ અત્યારે તો વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ને સંભાળવા માટે રસીના વિતરણ બાબતે વિપક્ષો વધુ આક્રમક બનવાની શકયતા દેખાઇ રહી છે પિનારાઇ વિજયન અને મમતા બેનર્જી બન્નેએ જાહેરાત કરી છે કે મહામારી સામે નિપટવું તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે અને તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે બિન ભાજપા શાસિત રાજયોમાં રસી વિતરણમાં સુસ્તી ચલાવી નહીં લેવાય. પરિણામ પછી પોતાના સંવાદદાતા સંમેલનમાં બેનર્જીએ કહ્યું કે તેમની લડાઇ દેશભરમાં બધાને મફત રસી સુનિશ્ચીત કરવા માટેની રહેશે. જયારે લોકસભાનું ચોમાસુ સત્ર બોલાવવામાં આવશે ત્યારે સંસદમાં તણાવ પણ જોવા મળશે. લોકસભામાં ૩૭ બેઠકો સાથે દ્રમુક અને રર બેઠકો સાથે ટીએમસીએમ બન્નેની વજનદાર ઉપસ્થિતિની શકયતા છે, જેમને રાજયોની જીતનો સહારો મળેલો છે.

આ જીત પછી કેન્દ્ર અને રાજયો વચ્ચેના સંબંધોમાં ખરાશ શકયતા છે. કેમકે બંગાળમાં હવે ભાજપાની મહત્વપુર્ણ ઉપસ્થિતિ છે. બંગાળના રાજયપાલ જગદીપ ધનખડ મમતા સકાર વિરૂધ્ધ પોતાની રીતે ધર્મયુધ્ધનું નેતૃત્વ કરી રહ્યા છે. આ વાત કેરળના રાજયપાલ આરિફ મહંમદખાન માટે પણ સત્ય છે, જેમણે સબરીમાલા મુદ્દાને સંભાળવામાં ડાબેરી મોરચા સરકાર દ્વારા લેવાયેલ કેટલાક પગલાઓની ટીકા કરી છે.

(12:52 pm IST)