Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

સેવિંગ બેન્ક એકાઉન્ટને કોઇપણ ઝંઝટ વગર સરળતાથી જન ધન ખાતામાં ટ્રાન્સફર કરી શકાયઃ બેન્કે જઇને એક ફોર્મ ભરવુ પડશે

નવી દિલ્લી: કોરોનાના ઝડપથી વધી રહેલા કેસના કારણે દેશ ફરી એકવાર સંપૂર્ણ લૉકડાઉન તરફ આગળ વધી રહ્યો છે. એવામાં અનેક લોકો ઝીરો બેલેન્સવાળા જન-ધન ખાતા ખોલાવવા માટે બેંકમાં જઈ રહ્યા છે. કેમ કે તેમને આશા છે કે છેલ્લા વર્ષની જેમ આ વખતે પણ કેન્દ્ર સરકાર આ ખાતામાં 500-500 રૂપિયા રાહત તરીકે નાંખી શકે છે.

જો તમે અત્યાર સુધી જન ધન ખાતા સાથે જોડાયેલ નથી. કે તમારી પાસે પહેલાંથી જ બેંકમાં સામાન્ય સેવિંગ એકાઉન્ટ છે. તો તમે તેને જન ધન ખાતામાં ફેરવી શકો છો. તેની પ્રોસેસ એકદમ સરળ છે. તેના માટે તમારે શું કરવાનું રહેશે, તેના ફાયદા શું છે. આવો જાણીએ.

સેવિંગ એકાઉન્ટને જન ધનમાં કેવી રીતે બદલશો:

બેંક નિયમો પ્રમાણે કસ્ટમર પોતાના સેવિંગ એકાઉન્ટને જન ધન ખાતામાં ફેરવી શકે છે. તેના માટે કસ્ટમરે પોતાની બેંકમાં જવું પડશે. બેંક પહોંચીને તમારે સૌથી પહેલાં રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે. તેના માટે નિર્ધારિત ફોર્મ ભરીને બેંકમાં જમા કરવાનું રહેશે. જ્યારે આ ફોર્મ સ્વીકારવામાં આવશે ત્યારે તમારું સેવિંગ એકાઉન્ટ જન ધન ખાતામાં ફેરવાઈ જશે.

જન ધન ખાતાથી મળશે આ ફાયદા:

1. ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ માથાકૂટ નહીં

2. સેવિંગ એકાઉન્ટ જેટલું મળતું રહેશે વ્યાજ

3. મોબાઈલ બેકિંગની સુવિધા ફ્રી રહેશે

4. દરેક યૂઝર્સને 2 લાખ રૂપિયા સુધી દુર્ઘટના વીમા કવર

5. 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા

6. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર. જોકે આ લાભાર્થી મૃત્યુ પર યોગ્ય શરતો પૂરી થાય ત્યારે મળે છે.

7. કેશ કાઢવા અને શોપિંગ માટે રૂપે કાર્ડ મળે છે.

આ સરકારી યોજનાઓનો મળશે લાભ:

1. અનેક સરકારી યોજનાઓના પૈસા સીધા ખાતામાં આવશે

2. વીમો, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવી સરળ થઈ જશે

3. દેશભરમાં સરળતાથી કરી શકાશે મની ટ્રાન્સફર

4. પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખોલાવી શકશે

નવું ખાતું ખોલાવવા માટે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે:

નવું જન ધન ખાતું ખોલાવવા માટે તમારે બેંકમાં જઈને એક નિર્ધારિત ફોર્મ ભરવાનું રહેશે. તેમાં તમને ખાતા ધારકનું નામ, સરનામું, મોબાઈલ નંબર, બેંક શાખાનું નામ, વ્યવસાય-રોજગાર, આશ્રિતોની સંખ્યા, વાર્ષિક આવક, નોમિની, વિલેજ કોડ કે ટાઉન કોડ વગેરેની જાણકારી લેવામાં આવશે. આ ફોર્મની સાથે તમારે  આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, મનરેગા, જોબ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડની જરૂર પડી શકે છે.

2015માં પ્રધાનમંત્રી મોદીએ કરી હતી શરૂઆત:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં એટલે કે આજથી લગભગ 6 વર્ષ પહેલાં જન ધન યોજના શરૂ કરી હતી. તેને ખાસ કરીને ઓછી આવકવાળા વર્ગ એટલે ગરીબ તબક્કાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી. જેથી તે ઝીરો બેલેન્સમાં એકાઉન્ટ ખોલાવી શકે. ભારતમાં રહેનાર કોઈપણ નાગરિક, જેની ઉંમર 10 વર્ષ કે તેનાથી વધારે છે. જન ધન ખાતું ખોલાવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધી આ યોજના અંતર્ગત 40 કરોડથી વધારે ખાતા ખૂલી ચૂક્યા છે.

(4:36 pm IST)