Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

GSTની માત્ર ત્રણ કેટેગરીમાં ફેરફાર શક્‍ય : ૨૮ ટકા દર યથાવત રહેશે

મહેસૂલ સચિવ તરૂણ બજાજે જણાવ્‍યુ હતુ કે, શ્રેણીઓમાં ફેરફારની ચર્ચા કરવા માટે તૈયાર છે (૫ ટકા કેટેગરીમાં મોટાભાગે ખાદ્ય પદાર્થોનો સમાવેશ થયા છે) : ૬૦ ટકા આવકનો હિસ્‍સો ૧૮ ટકા જીએસટી શ્રેણીમાંથી આવે છે

નવી દિલ્‍હી,તા. ૫: મહેસૂલ સચિવ તરુણ બજાજે કહ્યું છે કે સરકાર લક્‍ઝરી પ્રોડક્‍ટ્‍સ પર ૨૮ ટકા જીએસટી દર જાળવી રાખવા માગે છે. જો કે, તે ટેક્‍સની અન્‍ય ત્રણ શ્રેણીઓને બે કેટેગરીમાં રૂપાંતર કરવા અંગે ચર્ચા કરવા તૈયાર છે. આ દર્શાવે છે કે સરકાર વર્તમાન ચારને બદલે ત્રણ કેટેગરી જીએસટી રાખવા માંગે છે. ઉપરાંત, તે ૫, ૧૨ અને ૧૮ ટકાની શ્રેણી બદલી શકે છે.

બજાજે ઔદ્યોગિક સંસ્‍થા એસોચેમના એક કાર્યક્રમમાં જણાવ્‍યું હતું કે નીતિ ઘડનારાઓ ટેક્‍સના દરોને ૧૫.૫ ટકાના રેવન્‍યુ-ન્‍યુટ્રલ સ્‍તરે લઈ જવાની કોઈ ઉતાવળમાં નથી. બજાજે જણાવ્‍યું હતું કે, ‘જયાં સુધી જીએસટીના કર માળખાનો સંબંધ છે, ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકા દરોમાંથી, આપણે ૨૮ ટકાના દરને જાળવી રાખવો પડશે.'

આવકની અસમાનતા સાથે વિકાસશીલ અર્થતંત્રમાં, કેટલાક વૈભવી ઉત્‍પાદનો છે કે જેના માટે ઉચ્‍ચ કર દરોની જરૂર છે. જો કે, અમે અન્‍ય ત્રણ ટેક્‍સના દરોને બે દરમાં સમાયોજિત કરી શકીએ છીએ, એમ તેમણે જણાવ્‍યું હતું. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે દેશ કેવી રીતે આગળ વધે છે અને શું આ દરોને માત્ર એક દર સુધી નીચે લાવી શકાય છે કે નહીં.

પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવવાની માંગ પર તેમણે કહ્યું કે કેન્‍દ્ર અને રાજય સરકારોની આવકમાં બળતણ પરનો કર મુખ્‍ય ભાગ છે, તેથી તેના વિશે કેટલીક આશંકા છે. તેમણે કહ્યું કે આ માટે આપણે થોડો સમય રાહ જોવી પડશે.

જીએસટી કાઉન્‍સિલે કર્ણાટકના મુખ્‍ય પ્રધાન બસવરાજ બોમાઈની અધ્‍યક્ષતામાં પ્રધાનોના જૂથની રચના કરી છે, જે ટેક્‍સના દરોને તર્કસંગત બનાવવાની તપાસ કરશે. જીઓએમને તેનો અંતિમ રિપોર્ટ સબમિટ કરવા માટે ત્રણ મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્‍યો છે.

મહેસૂલ સચિવે કહ્યું કે જીએસટી સિસ્‍ટમના અમલના પાંચ વર્ષ પછી, જીએસટી દરનું માળખું કેવી રીતે વિકસિત થયું છે તે જોવાનો આત્‍મનિરીક્ષણ કરવાનો સમય છે. આ દરમિયાન, તે પણ ધ્‍યાનમાં લેવું જોઈએ કે શું દરોની સંખ્‍યામાં ઘટાડો કરવાની જરૂર છે કે નહીં. આ સિવાય કઈ પ્રોડક્‍ટ પર વધુ ટેક્‍સ લગાવવો જોઈએ અને કઈ પ્રોડક્‍ટને લોઅર સ્‍લેબમાં રાખવી જોઈએ.

મહેસૂલ સચિવ તરુણ બજાજે કહ્યું છે કે, અમારે ૨૮ ટકાનો દર જાળવી રાખવો પડશે. જો કે, અમે અન્‍ય ત્રણ કર દરોને બે દરોમાં સમાયોજિત કરી શકીએ છીએ. તે એક મોટો પડકાર છે.

(10:18 am IST)