Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રેલ્વેએ કર્મચારીઓના પ્રવાસ ભથ્થા અને ઓવરટાઇમના ખર્ચ ઉપર મુકયો ૫૦%કાપ

નવી દિલ્હી તા. ૫ : કોરોના કાળમાં આવક ઓછી થવાના પગલે રેલ્વેએ પણ કરકસરના પગલા શરૂ કરી દીધા છે. કર્મચારીઓ-અધિકારીઓના પ્રવાસ ભથ્થા અને ઓવરટાઈમ પર કાતર મુકી દીધી છે. આ અંગે તમામ વિભાગોને જાણ કરી ૫૦% સુધીનો ખર્ચ ઘટાડવા આદેશો જારી કરાયા છે.

દેશભરમાં રેલ્વે કર્મચારીઓના પ્રવાસ ભથ્થા (ટી.એ.) પાછળ વર્ષમાં અંદાજીત ૧૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. રેલ્વે બોર્ડ નિર્દેશક મંજુએ આ સંબંધે મળેલી ફરીયાદો ધ્યાને લઇ ખર્ચ અડધો કરી નાખવા આદેશો કર્યા છે.

રેલ્વેનું સંચાલન બરાબર કાર્યરત થયુ ન હોવા છતા જોધપુર મંડળમાં ટી.એ. અને ઓ.ટી. ના નામે બહુ મોટો ખર્ચ થયાની ફરીયાદ રેલ્વે બોર્ડને મળી હતી. જેને લઇને રેલ્વેએ આ કરકસરના પગલા શરૂ કર્યા છે.

મંડલના એન્જીનીયરીંગ, કોમર્શીયલ, કેરેજ એન્ડ વેગન, ઇલેકટ્રીક સહીત અન્ય વિભાગોમાં આ રીતેના ભથ્થા લગાતાર ચુકવાઇ રહ્યાની ફરીયાદો ઉઠી હતી.

કોરોના કાળમાં રેલ્વે થંભી જવા છતા ખર્ચ કેમ ઘટતો નથી તે બાબતને લઇને ચોંકી ઉઠેલ રેલ્વે તંત્રએ આ દિશામાં ગંભીરતાથી તપાસો શરૂ કરી છે.

(11:35 am IST)