Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ઓરિસ્સાથી ગુજરાત આવી રહેલી બસને રાયપુરમાં ગંભીર અકસ્માત : સાત લોકોના મોત : 50 ઘાયલ

વહેલી સવારે બસ સામેથી આવતી ટ્રક સાથે ટકરાતા વિશાળ બસનો એક ભાગ સંપૂર્ણ રીતે ઉખડી ગયો

છત્તીસગઢના રાયપુર જિલ્લામાં મજૂરોને ઓરિસ્સાથી ગુજરાત જઇ રહેલી બસને ભયાનક અકસ્માત નડ્યો હતો જેમાં 7ના મોત નિપજ્યા છે.ઓરિસ્સાથી ગુજરાત આવી રહેલી બસને નડેલા આ ભયાનક માર્ગ અકસ્માતમાં 7 કામદારોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 50 થી વધુ મજૂરો ઘાયલ થયા છે.

આ ગોઝારી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી બાજુ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ તમામ કામદારોને તાત્કાલિક રાયપુરની સરકારી મેકાહારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બસ શનિવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ રાયપુરના નેશનલ હાઇવે 53 પર પહોંચી હતી. દરમિયાન સામેથી આવતી ટ્રક તેની સાથે જોરદાર ટકરાઈ હતી.

 

આ અકસ્માત એટલો ભયંકર હતો કે આ અકસ્માતમાં વિશાળ બસનો એક ભાગ સંપૂર્ણ રીતે ઉખડી ગયો હતો. આ અકસ્માતમાં 6 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં 50 થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત ખૂબ ગંભીર છે.

(12:47 pm IST)