Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જાનૈયા ભરેલી બસ બેકાબૂ થતાં ખીણમાં ખાબકીઃ ૨૫ લોકોના મોત

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના :બસમાં લગભગ ૫૦ જાનૈયાઓ સવાર હતાઃ પોલીસ અને એસડીઆરએફની ટીમ રેસ્‍ક્‍યૂ ઓપરેશન ચલાવી રહી છે

લેંસડાઉન (ઉત્તરાખંડ), તા.૫: ઉત્તરાખંડના પૌડીમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ. ડીજીપી અશોક કુમારે જણાવ્‍યું હતું કે, ધૂમાકોટના બિરોખલ વિસ્‍તારમાં ગત રાતે પૌડી ગઢવાલ બસ દુર્ઘટનામાં ૨૫ લોકોના મોત થઈ ચુક્‍યા છે. તો વળી સવારે ૬ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્‍યા છે. પોલીસ અને એસડીઆરએફે આખી રાત દરમિયાન ૨૧ લોકોને બચાવ્‍યા છે. ઘાયલોને નજીકની હોસ્‍પિટલમાં ભરતી કરાવ્‍યા છે. આ દુર્ઘટના ત્‍યારે થઈ જયારે હરિદ્વારના અંતર્ગત લાલઢાંગથી કાડા તલ્લા જઈ રહેલી ૫૦ જાનૈયાઓ ભરેલી બસ સિમડી ગામ નજીક બેકાબૂ થઈને ૫૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.

હાલમાં ઘટના પર પોલીસ અને એસડીઆરએફની ટીમ રેસ્‍ક્‍યૂ ઓપરેશન ચલાવી રહી છે.સીએમ પુષ્‍કર સિંહ ધામીએ પણ કંટ્રોલ રૂમમાં પહોંચીને તાત્‍કાલિક રાહત પહોંચાડવાના નિર્દેશ આપ્‍યા છે. આપને જણાવી દઈએ કે, શ્રીનગર, કોટદ્વાર, સતપુલી અને રુદ્રપુરથી એસડીઆરએફની રેસ્‍ક્‍યૂ ટીમે ઘટનાસ્‍થળ પર રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

દુર્ઘટના બાદ મંગળવાર રાતે સીએમ પુષ્‍કર સિંહ ધામીએ કહ્યું કે, રેસ્‍ક્‍યૂ ઓપરેશન માટે એસડીઆરએફની ટીમ લાગી છે. તો વળી આ મામલામાં બ્‍લોક પ્રમુખ રાજેશ કંડારીએ જણાવ્‍યું છે કે, આ બસ લગભગ ૫૦૦ મીટર નીચે ખીણમાં ખાબકી છે. તેની સાથે જ બીરોખાલ સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્રથી પાંચ ડોક્‍ટર્સની ટીમ મોકલવામાં આવી છે.

(10:31 am IST)